Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

વચનવિધિ કડવું:- ૧૬

વળી એક વારતા સાંભળો સારીજી, લીધી લંકાપુરી રાવણને મારીજી પછી કહ્યું રામે રામાનુજને વિચારીજી, વે’લા આવો વિભીષણને પાટે બેસારીજી પાટે બેસારી વે’લા આવજો, વિસારશો મા એહ વચનને ।। વળી વારું  છું તમને, બેસશો મા રાવણ આસને ।। ર ।। પછી જઈ જોઈ લંકાપુરી, દીઠી રાવણની રિદ્ધિ અતિ ।। ગમ વિના બેઠા ગાદિયે, તિયાં તર્ત ફરી ગઈ મતિ ।। ૩ ।। ત્યાં તો સુણ્યું નગારું સેનનું, શ્રીરામનું શ્રવણે કરી ।। કહે કેનું નગારું એ કોણ છે, મારી કાઢો એ સેના પરી ।। ૪ ।। એમ વચન વિસારતાં, મતિ રતી પણ નવ રઈ ।। પછી આસનથી ઊતર્યા, ત્યારે ભારે અતિ ભોંઠપ થઈ ।। પ ।। વળી અયોધ્યાની વારતા, રામે કહ્યું રામાનુજને ।। આવવા મા દેશો અમ પાસળે, વળી પૂછ્યા વિના મુજને ।। ૬ ।। અણ પૂછ્યે દીધી આગન્યા, દુર્વાસાને દર્શન તણી ।। તે વચન લોપાણું જાણી રામજી, કહ્યું જયારે મુનિસભા ભણી ।। ૭ ।। ત્યારે ઋષિ કહે વચનદ્રોહીનું, મુખ ન જોવું પાછું ફરી ।। નિષ્કુળાનંદ પછી રામાનુજે, વાત સત્ય એ માની ખરી ।। ૮ ।। read more
0 Views : 174

વચનવિધિ પદ:- ૪

રાગ-ધોળ:- ‘આજ મારે ટાણું રે આવ્યું છે મહાસુખનું’ એ ઢાળ. સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણું રે ગુનેગાર રે; સંતો જયાં જયાં જાયે ત્યાં જન મળી, વળી કરે તિરસ્કાર રે.   સંતો૦ ।। ૧ ।। સંતો લેશ વચન જો લોપિયે, અતિ થઈ ઉન્મત્ત રે; સંતો એક એકડો જેમ ટાળતાં, ખોટું થઈ જાયે ખત રે.   સંતો૦ ।। ર ।। કોઈ સો કન્યા પરણાવે સુતને, પછી મરે મોટિયાર રે; રાંડ્યા વિના એમાં કોણ રહે, રાંડે સૌ એક હાર રે.   સંતો૦ ।। ૩ ।। એમ વચન વિના આ વિશ્વમાં, વરતે છે જે વિમુખ રે; નિષ્કુળાનંદ તેને નીરખતાં, સંત ન માને સુખ રે.   સંતો૦ ।। ૪ ।। read more
0 Views : 146

વચનવિધિ કડવું:- ૧૭

વિમુખનું મુખ અતિ દુઃખદેણજી, નજરોનજર ન જુઓ એનાં નેણજી કાને કરી કેદી ન સુણો એનું કે’ણજી, વદને ન વદો વિમુખશું વેણજી વદને ન વદવું વિમુખશું, તેમ સ્પર્શવું નહિ પંડ્યે કરી ।। સર્વે પ્રકારે સમજી, પાપીને મૂકવા પરહરી ।। ર ।। કોઈ રીતે કુપાત્રનો, ગુણ ગરી જાય જો ઘટમાં ।। તો પાર પોત પામતાં, તરી ભાંગ્યું જાણો જઈ તટમાં ।। ૩ ।। પય સાકર સુંદર ત્યાં લગી, જયાં લગી ન ભળી લાળ ભોયંગની ।। તેમ હરિજન સારો ત્યાં લગી, જયાં લગી નથી સોબત કુસંગની ।। ૪ ।। શોભનિક શરીર ત્યાં લગી, જયાં લગી નથી કોઢ કપાળમાં ।। તેમ સંત શિરોમણિ ત્યાં લગી, જયાં લગી ના’વ્યો વિમુખની જાળમાં ।। પ ।। વાવ્યો મોલ સારો ત્યાં લગી, જયાં લગી નથી ખવાણો ખડજમાં ।। તેમ ભકતની ભલાઈ ત્યાં લગી, જયાં લગી ના’વ્યો વિમુખની વડજમાં ।। ૬ ।। તેમ મુકતની મોટપ ત્યાં લગી, જયાં લગી નથી પંચવિષયનો પ્રસંગ ।। દેહ ઇન્દ્રય મન પ્રાણથી, અતિ રહે છે અસંગ ।। ૭ ।। જેવા વિમુખ છે બા’રના, તેવા વિમુખ છે ઉરમાંય ।। નિષ્કુળાનંદ કહે ન કરિયે, એનો વિશ્વાસ કાંય ।। ૮ ।। read more
0 Views : 154

વચનવિધિ કડવું:- ૧૮

વિમુખનો સંગ તજો તતકાળજી, હૈયે જાણી હડકાયા શ્વાનની લાળજી વળગી અળગી કરતાં જંજાળજી, જાણજો જરૂર એજ જમ જાળજી જમની જાળ જાણીને, તન મનમાં રાખવો ત્રાસ ।। ભૂલ્યે પણ હરિભકતને, નવ બેસવું એહને પાસ ।। ર ।। જેમ રાહુ સંગે રાકેશ રવિનું, અતિ તમે થાય તેજ લીન ।। તેમ હરિ વિમુખના સંગથી, થાય મતિ અતિ મલિન ।। ૩ ।। પ્રાવૃટ ઋતુ અંત પરખિયે, જયારે ઊગે અગસ્ત્ય આકાશ ।। જળ સંકોચાયે સ્થળથી, તેમ વિમુખથી મતિ નાશ ।। ૪ ।। જેમ વાયુના વેગે કરીને, વિખાઈ જાયે વળી વાદળાં ।। તેમ વિમુખ વચનના વેગથી, જાય શુભ ગુણ આદિ સઘળાં ।। પ ।। વાંસ વિછણ્ય વિયા જણ્યે, સુકે એક મૂકે શરીરને ।। એમ કુસંગ અંગમાં આવતાં, મારે મોટા મુનિ ધીરને ।। ૬ ।। કહી કહીને કહીએ કેટલું, રે’જો હરિ વિમુખથી વેગળા ।। પરમ પદ તો પામશો, વામશો વળી દુઃખ સઘળાં ।। ૭ ।। નિર્વિઘ્ન થાવા નરને, ન કરવો સંગ વિમુખનો ।। નિષ્કુળાનંદ નિશ્ચે કહે, એ છે ઉપાય સુખનો ।। ૮ ।। read more
0 Views : 143

વચનવિધિ કડવું:- ૧૯

શિયા સુખ સારુ લોપે છે વચનજી, એમ મોટા મુનિ વિચારે છે મનજી જુવો જડબુદ્ધિવાળા જનજી, પોતાના સુખમાં પાડે છે વિઘનજી વિઘન પાડે છે વણ સમઝે, કાપે છે ડાળ બેસવા તણી ।। તેને પડ્યાનું શું પૂછવું, પડશે જરૂર એના ધણી ।। ર ।। બહુ બૂકી૯ બીજ ધતુરનાં, જાણે ખાઈ ભાંગીશ ભૂખને ।। પણ ઘડીક પછી ઘાંટો ઝલાઈ, મરીશ પામી બહુ દુઃખને ।। ૩ ।। કાપે છે સર્પનો કંડિયો, માગ થાતાં મૂષો મલકાય છે ।। પણ જાણતો નથી આખુ આંધળો, જે હમણાં ખીજી નાગ ખાય છે ।। ૪ ।। ચાલે છે ચોરને મારગે, ખરાખરું માને છે ક્ષેમ  રે ।। પણ શીશ કપાણાં જયાં સોયે સોયનાં, ત્યાં કુશળ રહીશ કેમ રે ।। પ ।। એમ વાઢી વેલી વચનની, ફેર પાકેલ ફળ કેમ મળશે ।। ફળ એનું ફજેત થઈને, વેઠ્યે વેકર્ય દળશે ।। ૬ ।। કાં તો ખર ઊંટ અવતાર પામી, અણતોળ્યો ભાર ઉપાડશે ।। કસર કરશે ચાલતાં તો, ધણી એનો ધોકે તાડશે ।। ૭ ।। માટે જોઈ વિચારી જગદીશનાં, વિમુખ રે’જો મા વચનથી ।। નિષ્કુળાનંદ કહે નાથના, ઘરમાં અંધારું ઘોર નથી ।। ૮ ।। read more
0 Views : 164

વચનવિધિ કડવું:- ર૦

જો જો આ જગતમાં જીવનાં સુખજી, દેહ પરજંત ભોગવે છે દુઃખજી અન્ન જળ તૃણ આહાર વિના વેઠે છે ભૂખજી, તે તો જન જાણજો હતા હરિથી વિમુખજી હરિ વિમુખની વારતા, સાંભળો તો સર્વે કઉં ।। નથી ઉધારો એહનો, નજરો નજર દેખાડી દઉં ।। ર ।। જન્માંતરે જન જાણજો, હરિકથા ન સાંભળી કાન ।। તે તો નર બધિર  થયા, એહ દંડ દીધો ભગવાન ।। ૩ ।। જન્માંતરે હરિ હરિજનનું, રૂપ ન જોયું નયણે ।। તેણે કરી થયા આંધળા, હવે સૂઝે નહિ દિન રેયણે ।। ૪ ।। જિહ્વાયે નામ જગદીશનું, અજાણે પણ ઉચ્ચર્યા નઈ ।। તે જન માનો મૂંગા થયા, બોલવાની હવે બંધી થઈ ।। પ ।। જે જને હરિકથા સાંભળી, કાઢી દેશી કાલું કાલું કથી ।। તે જન થયા તોતળા, હવે બોલી સમઝાતી નથી ।। ૬ ।। લૂલા પાંગળા રોગી વિયોગી, દુઃખી દીન દરિદ્રી અતિ ।। તે તો પૂર્વના પાપથી, દુઃખ ભોગવે છે દુર્મતિ ।। ૭ ।। એહ દંડ જાણો દૈવનો, ભોગવે છે વિમુખ વળી ।। નિષ્કુળાનંદ ન લોપિયે, હરિવચન આવું સાંભળી ।। ૮ ।। read more
0 Views : 146

વચનવિધિ પદ:- પ

રાગ-સિંધુ રામગ્રી:- ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. સમજીને સમજુ રે, વા’લાં કરો હરિનાં વચન; દેખી પેખીને દુઃખમાં, શીદ પરાણે પડિયે જન..સમજી૦ ।। ૧ ।। જેને વચને વિઘન વિરમે, પામિયે પરમ આનંદ; એવાં વચન જે ઉલ્લંઘે, તે તો કા’વે મૂરખ મતિમંદ. સમજી૦ ।। ર ।। અસમર્થની જે આગન્યા, મનાયે ન મનાયે મન; પણ સમર્થના વચનમાં, રહિયે રાજી થઈ નિશદિન..સમજી૦ ।। ૩ ।। શ્રીહરિ રીઝવી સુખ લૈયે, ખીજવીને ન ખાય ખોટ; નિષ્કુળાનંદ કહે ન કીજિયે, એવું લઈ અવરની ઓટ. સમજી૦ ।। ૪ ।। read more
0 Views : 134

વચનવિધિ કડવું:- ર૧

ખીજવે હરિને ખાટ્ય ન થાયજી, એ પણ જાણવું જન મન માંયજી જેથી થાય દુઃખ સુખ સર્વ જાયજી, એવો નવ કરવો કોઈ ઉપાયજી ઉપાય એવો કરવો નહિ, જેણે કરી ખીજે જગદીશ ।। રાજી કર્યાનું રહ્યું પરું, પણ હરિને ન કરાવો રીશ ।। ર ।। હઠ કરી હરિ ઉપરે, કોઈ સેવક કરે સેવકાઈ ।। તે સેવક નહિ શ્રી હરિતણો, એ છે દાસ જાણો દુઃખદાઈ ।। ૩ ।। મન ગમતું મૂકે નહિ, કરે હરિ હઠાડવા હોડ ।। એવા ભકત જે ભગવાનના, તેને કહિયે કપાળના કોડ ।। ૪ ।। ન કરે ગમતું ગોવિંદનું, નિજ ગમતું કરાવે નાથને ।। જો મોડે ગમતું એના મનનું, તો શોધે વિમુખના સાથને ।। પ ।। હરકોઈ વાતે હટકી, ચટકીને ચાલી નીસરે ।। હેત તોડી હરિ હરિજનશું, વિમુખશું વાલ્યપ કરે ।। ૬ ।। એવા જાલમ જનને, જાળવ્યા જોયે જગદીશને ।। રીઝે તો ન રહે રીતમાં, ખીજે તો કાપે શીશને ।। ૭ ।। વચન દ્રોહીથી લાગે વસમી, એવા સેવકની સેવકાઈ ।। નિષ્કુળાનંદ એવી ભગતી, ભકતને ન કરવી ભાઈ ।। ૮ ।। read more
0 Views : 139
Powered By Indic IME