જેમ પ્રાણને તંદુરસ્ત રાખવા સાત્વિક અને પોષ્ટિક આહાર જરુરી છે, તેમ જીવનને આનંદમય બનાવવા સદ્વાંચન અને શુભ શ્રવણની ખૂબ જ જરુર છે. સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે : ‘શાસ્ત્ર વાંચન વિના તો બુદ્ધિમાં જડતા આવી જાય છે.’ માટે ભગવદ્પ્રાપ્તિ માટે સેવા, ભજન, ભકિત સાથે શાસ્ત્રોનું શ્રવણ-વાંચન અનિવાર્ય છે. શાસ્ત્રોનું વાંચન આપણી વિચારની ભૂમિકા ઊંચી લાવે છે, બુદ્ધિમાં આસ્તિકતા જન્માવે છે અને હૃદયમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત વધારે છે. શાસ્ત્રોમાં આવતા મહાપુરુષોના જીવનની કથાઓથી આપણને ભગવદ્ માર્ગે આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વચનામૃતોથી લઈને નંદ સંતોની સાદી-સરળ વાતો સુધીના સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો સંજીવની ઔષધિ સમાન છે. સંસ્કૃત, ગુજરાતી, હિન્દી , વ્રજ વગેરે ભાષાઓમાં પદ્ય અને ગદ્ય શૈલીમાં રચાયેલા આ શાસ્ત્રો માનવજીવનને નવી દિશા ચિંધે છે. આ શાસ્ત્રોનું અધ્યયન અને શ્રવણ કરવા ઇચ્છતા ભક્તો માટે સંપ્રદાયના પ્રાપ્ય-અપ્રાપ્ય બધા શાસ્ત્રો સુલભ બને, વિવિધ શાસ્ત્રોમાંથી ઇચ્છીત મુદ્દાઓ કે પ્રસંગો સહેલાઇથી તારવી શકાય તે માટે ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સહ અંહિ ‘ચિંતન’માં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોનું સંકલન કરવામાં આવ્યું છે. સંવત્ ર૦૬૬, કારતક સુદ પાંચમ (લાભ પાંચમ)ના મંગલ દિવસે પ્રારંભ કરાયેલ ‘ચિંતન’માં અત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણીરુપ ગ્રંથરાજ વચનામૃત, ભક્તચિંતામણી, શિક્ષાપત્રી, નિષ્કુળાનંદ કાવ્ય, સ્વામીની વાતો તથા અન્ય સાહિત્ય ઉપલબ્ધ છે. ક્રમશ: અન્ય શાસ્ત્રો મુકાશે.
આશા છે કે અમારો આ પ્રયત્ન સંશોધક, ચિંતક, જીજ્ઞાસુ અને મુમુક્ષુ સંતો-ભકતોને ખૂબ જ ઉપયોગી થશે.
– સાધુ દેવપ્રસાદદાસના જય શ્રી સ્વામિનારાયણ !
નોંધ :
– આ વેબ સાઇટમાં યુનિકોડ ગુજરાતી તેમજ હિન્દી ફોન્ટ્સ વાપરવામાં આવ્યા છે. સર્ચ બોક્સમાં કોઇપણ શબ્દ ટાઇપ કરી શાસ્ત્રોના મુદ્દાઓ તારવી શકાશે.
– સર્ચ બોક્સમાં કીબોર્ડને ગુજરાતીમાં બદલવા માટે Type in માં Gujarati ભાષા સિલેક્ટ કરો અથવા “F12” કી પ્રેસ કરો.
– તમોને ‘ચિંતન’ ની કોઈ પણ Post માં ભાષાકીય અથવા અન્ય કોઈ પણ ભૂલ દેખાય તો chintan@gurukul.us પર જરૂરથી email કરશો.