Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

ભક્તિનિધિ પદ:-૦૯

રાગ:– પરજ સંતો મનમાં સમઝવા માટરે, કેદિ મેલવી નહિ એ વાટરે; સંતો૦ ।। જોઇ જોઇને જોયુંછે સર્વે, વિવિધ ભાતે વિરાટ । ભક્તિ વિના ભવ ઉદભવનો, અળગો ન થાય ઉચ્ચાટરે; સંતો૦ ।।૧।। તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ । અવધિયે અવશ્ય અખંડ ન રહે, તો શી થઇ એમાં ખાટ્યરે; સંતો૦ ।।૨।। માટે ભક્તિ ભવભય હરણી, કરવી તે શીશને સાટ । તેહ વિના તને મને તપાસું, વાત ન બેઠી ઘાટરે; સંતો૦ ।।૩।। ભક્તિથી કાયા જાણે છૈયે ડાહ્યા, એવું ડાહ્યાપણું પરૂં ડાટ । નિષ્કુલાનંદ કે’ ભક્તિ કરતાં, ઉઘડે અભય પદ હાટરે; સંતો૦ ।।૪।। પદ ।।૯।। read more
0 Views : 84

ભક્તિનિધિ કડવું:- ૩૭

રાગ:- ધન્યાસરી ભક્તિ કરી હરિનાં સેવવાં ચરણજી, મનમાં માની મોટા સુખનાં કરણજી । તન મન ત્રિવિધ તાપનાં હરણજી, એવાં જાણી જન સદા રહે શરણજી ।।૧।। રાગ :- ઢાળ શરણે રહે સેવક થઇ, કેદિ અંતરે ન કરે અભાવ। જેમ વાયસ વાહણતણો, તેને નહિ આધાર વિના નાવ ।।૨।। તેમ હરિજનને હરિચરણ વિના, નથી અન્ય બીજો આધાર । તે મૂકી ન શકે તને મને, જાણી ભારે સુખભંડાર ।।૩।। જેમ પતિવ્રતા હોય પ્રમદા, તે પતિ વિના પુરૂષ પેખે નહિ । બીજા સોસો ગુણે કોઇ હોય સારા, તોય દોષિત જાણી દેખે નહિ ।।૪।। તેમ ભક્ત ભગવાનના, પતિવ્રતાને પ્રમાણ। પ્રભુ વિના બીજું ન ભજે ભૂલ્યે, તે સાચા સંત સુજાણ ।।૫।। જેમ બપૈયો બીજું બુંદ ન બોટે, સ્વાતિ વિના સુધાસમ હોય । પિયુપિયુ કરી પ્રાણ પરહરે, પણ પિયે નહિ અન્ય તોય ।।૬।। તેમ જન જગદીશના, એક નેક ટેકવાળા કે’વાય । સ્વાતિ બિંદુસમ સ્વામીનાં વચન, સુણી ઉતારી લિયે ઉરમાંય ।।૭।। જેમ ચકોરની ચક્ષુ ચંદ્ર વિના, નવ લોભાય ક્યાંહી લગાર । તેમ હરિજન હરિ મૂર્તિ વિના, અવર જાણે અંગાર ।।૮।। એમ અનન્ય ભક્ત ભગવાનના, પ્રભુ વિના બીજે પ્રીતિ નઇ । મન વચન કર્મે કરી, શ્રીહરિના રહ્યા થઇ ।।૯।। એવા ભક્તની ભક્તિ જાણો, વા’લી લાગે વા’લાને મન । નિષ્કુલાનંદ કહે નાથને, એવે જને કર્યા પ્રસન્ન ।।૧૦।। કડવું ।।૩૭।। read more
0 Views : 93

ભક્તિનિધિ કડવું:- ૩૮

રાગ:- ધન્યાસરી પ્રસન્ન કર્યા જેણે પરબ્રહ્મજી, તેને કોઇ વાત ન રહી અગમજી । સર્વે લોક ધામ થયાં સુગમજી, એમ કહેછે આગમ નિગમજી ।।૧।। રાગ :- ઢાળ આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહિ કરવું એને કાંઇ । સર્વે સુખની સંપતિ, આવિ રહી એના ઉરમાંઇ ।।૨।। સર્વે પાર જે પ્રાપતિ, સર્વેને સરે જેહ સુખ । તે પામેછે ભક્ત પ્રભુતણા, ઘણુંઘણું શું કહિયે મુખ ।।૩।। સર્વે ઉપર જે શિરોમણી, સર્વે મસ્તકપર જે મોડ । સહુથી એ સરસ થયા, કોણ કહિયે જાણો એની જોડ ।।૪।। સર્વે કમાણીને સરે કમાણી, સર્વે ખાટ્યને સરે ખાટ્ય । તેહ પામી પૂરણ થયા, તેતો ભક્તિ કરી તેહ માટ્ય ।।૫।। સર્વે કળશ પર કળશ ચઢ્યો, સર્વે જીતપર થઇ જીત । સર્વે સારનું સાર પામિયા, જેને થઇ પ્રભુ સાથે પ્રીત ।।૬।। જેમ મોટારાજાની રાજનિધિ, તે લડ્યે લેશ લેવાય નહિ । પણ જનમી એ જનક કર્યો. ત્યારે સર્વે સંપત્તિ એની થઇ ।।૭।। તેમ સેવક સુત શ્રીહરિતણા, મણા એને કોઇ વાતની નથી । પૂરણ પદનીછે પ્રાપતિ, અતિશય શું કહિયે કથી ।।૮।। જેમ અતિ ઉંચો અંબરે ચઢે, આકાશે વસે જયાં અનળ । એથી ઉંચો તો એક શૂન્ય છે, બીજાં હેઠાં રહ્યાં સકળ ।।૯।। તેમ ભક્તિથકી આબ્રહ્માંડમાં, નથી સરસ જોયું શોધીને, નિષ્કુલાનંદ પદ પરમ પામ્યા, જે અગમ છે મન બુદ્ધિને ।।૧૦।। કડવું ।।૩૮।। read more
0 Views : 96

ભક્તિનિધિ કડવું:- ૩૯

રાગ:- ધન્યાસરી મન બુદ્ધિના માપમાં ના’વેજી, એવું અતિ સુખ હરિભક્તિથી આવેજી । જેહ સુખને શુકજી જેવા ગાવેજી, તે ભક્તિ પ્રભુ પ્રગટની કા’વેજી ।।૧।। રાગ :- ઢાળ ભક્તિ પ્રભુ પ્રગટની, જેજે કરીછે હરિજને । તે તેને પળ પાકીગઇ, સહુ વિચારી જુવો મને ।।૨।। કુબજાએ કટોરો ભરી કરી, ચરચ્યું હરિને અંગે ચંદન । તેણે કરી તન ટેડાઇ ટળી, વળી પામી સુખસદન ।।૩।। સઇ સુદામા માળીનું, સમાપર સરીગયું કામ । તે પ્રગટ પ્રભુને પૂજતાં, પામી ગયા હરિનું ધામ ।।૪।। વિદુર ભાજીને ભોજને, જમાડિયા જગજીવન । તે જમી પ્રભુ પ્રસન્ન થયા, એવું પરોક્ષ શું સાધન ।।૫।। સુદામે ભક્તે શ્રીહરિને, ત્રણ મૂઠી આપિયા તાંદુલ । તેણે દારિદ્ર દૂર ગયું, થયું અતિ સુખ અતુલ ।।૬।। પંચાલિયે પાત્રમાંથી, શોધી જમાડીયા હરિ આપ । તેણે મટ્યું કષ્ટ મોટું અતિ, તેતો પ્રગટને પ્રતાપ ।।૭।। વળી ચીર ચીરીને ચિંથરી, આપી હરિ કરે બાંધવા કાજ । તેણે કરીને દ્રૌપદીની, રૂડી રાખી હરિએ લાજ ।।૮।। એમ પ્રગટના પ્રસંગથી, જેજે સર્યા ં જનનાં કામ । તેવું ન સરે તપાસિયું, મર કરે હૈયે કોઇ હામ ।।૯।। વારેવારે કહ્યો વર્ણવી, અતિ ભારે ભક્તિમાંહી ભાર । નિષ્કુલાનંદ તે ભગતિ, પ્રભુ પ્રગટની નિરધાર ।।૧૦।। કડવું ।।૩૯।। read more
0 Views : 104

ભક્તિનિધિ કડવું:- ૪૦

રાગ:- ધન્યાસરી પ્રગટ પ્રભુની ભક્તિ વખાણીજી, અતિશય મોટપ્ય ઉરમાંયે આણીજી । સહુથી સરસ શિરોમણી જાણીજી, એહ ભક્તિથી તર્યા કૈક પ્રાણીજી ।।૧।। રાગ :- ઢાળ પ્રાણીને પરમ પદ પામવા, ભક્તિ હરિની છે ભલી । સર્વેથકી સરસ સારૂં, કરી દિયે કામ એ એકલી ।।૨।। ેમ ત ટાળવા રાત્યનું, ઉગે ઉડુ આકાશે અનેક । પણ રવિ વિનાની રજની, કહો કાઢી શકે કોણ છેક ।।૩।। તેમ ભક્તિ ભગવાનની, સમઝો સૂરજ સમાન । અતિ અંધારૂં અહંતાતણું, તે ભક્તિથી ટળે નિદાન ।।૪।। નમ્રતા ને જે નમવું, દમવું દેહ મન પ્રાણને । તે ભક્તિ વિના ભાવે નહિ, ભાવે હમેશ થાવું હેરાણને ।।૫।। દુર્બળતા ને દીન રે’વું,  રીબને ગરજુ ઘણું । તે ભક્તિ વિના નવ ભાળિયે, જો જોએ પર પોતાપણું ।।૬।। ભક્તિ વિના ભારે ભારનો, માથે રહી જાય મોટલો । જાણું કમાણી કાઢશું, ત્યાંતો ઉલટો વળ્યો ઓટલો ।।૭।। જેમ ચોબો છબો થાવા ચાલિયો, દશો ચાલ્યો વિશો થાવા વળી । તે નિસર્યો મૂળગી નાતથી, રહ્યો ભટકતો નવ શક્યો ભળી ।।૮।। તેમ ભક્તિ હરિની ભાગ ન આવી, આવી ભેખ લઇ ભૂંડાઇ ભાગ । અતિ ઉલટું અવળું થયું, થયો મૂળગો નર મરી નાગ ।।૯।। તેમ ભક્તિ ન કરી ભગવાનની, કરી ભૂંડાઇ તે ભરપૂર । નિષ્કુલાનંદ એ નરને, થયું જયાન જાણો જરૂર ।।૧૦।। કડવું ।।૪૦।। read more
0 Views : 98

ભક્તિનિધિ પદ:-૧૦

રાગ:- પરજ જયાન ન કરવું જોઇરે સંતો જયાન૦, અતિ અંગે ઉન્મત્ત હોઇરે; સંતો૦ ।। ટેક . જો જાયે ૩જાવે તો કરીયે કમાણી, સાચવી લાવિયે સોઇ । નહિતો બેશી રહિયે બારણે, પણ ગાંઠની ન આવીએ ખોઈરે; સંતો૦ ।।૧।। જો ડૂબકી દિયે દરિયામાં, મોતીસારુ મને મોહી । તો લાવિયે મુક્તા મહામૂલાં, પણ નાવિયે દેહ ડબોઈરે; સંતો૦ ।।૨।। જો જાય જળ જાહ્નવી ના’વા, તો આવીયે કિલબિશ ધોઈ । પણ સામુ ન લાવીયે સમઝી, પાપ પરનાં તે ઢોઈરે; સંતો૦ ।।૩।। તેમ ભક્ત થઈને ભક્તિ કરીયે, હરિચરણે ચિત્ત પ્રોઈ । નિષ્કુલાનંદ કે’ નર ઘર મૂકી, ન જીવીયે જનમ વગોઈરે; સંતો૦ ।।૪।। પદ ।। ૧૦ ।। read more
0 Views : 138

ભક્તિનિધિ કડવું:- ૪૧

રાગ:- ધન્યાસરી જીવત વગોઈને જીવવું એ જૂઠુંજી, એતો થયું જેમ મા’મહિને માવઠુંજી । વિવાયે વે’ચાણી લાંણીમાં એ લઠુંજી, એહમાંહી સારું શું કર્યું એકઠુંજી ।।૧।। રાગ :- ઢાળ સારું તે એણે શું કર્યું, પાણી મળે ન ધોયો મેલ । જેમ ગીગો ગયો ગંગાજીયે, નાકે દુર્ગંધીનો ભરેલ ।।૨।। તેમ ભક્તિમાં કોય આવી ભળ્યો, પણ ન ટળ્યો જાતિ સ્વભાવ । પકી મૃતિકાના પાત્રનો, નહિ ઠામ થાવા ઠેરાવ ।।૩।। જેમ સિંધુ જોજન સો લાખનો, તેનો પાર લેવા કરે પરિયાણ । તે સમઝુ કેમ સમઝીયે, જે રાચ્યો રાંધવા પાષાણ ।।૪।। એમ એવાને આગળે, ભોળા કરે ભક્તિની વાત । જેની દાઢ્યો ડાળ્યો ચાવી ગઈ, તે કેમ રે’વા દિયે પાત ।।૫।। એવાને ઉપદેશ દેવો, એવો કરવો નહિ કેદિ કોડ । જે એ ભક્તિ અતિ ભજાવશે, એવો દિલે ન રાખવો ડોડ ।।૬।। એમ ભાવ વિનાની ભગતિ, નર કરી શકે નહિ કોય । ભક્તિ કરશે ભારે ભાગ્યવાળા, જે ખરા ખપવાન હોય ।।૭।। જેના હૃદિયામાં રુચિ ઘણી, ભક્તિ કરવા ભગવાનની । તેને ભક્તિ વિના ભાવે નહિ, ખરી અરુચિ રહે ખાનપાનની ।।૮।। ભક્તિ વિના બ્રહ્મલોક લગી, લલચાવે નહિ ક્યાંઇ મન । રાત દિવસ રાચી રહે, સાચા કે’વાય તે હરિજન ।।૯।। પ્રગટ પ્રભુની ભક્તિ વિના, જેને પળ કલપસમ થાય । નિષ્કુલાનંદ એવા ભક્તને અર્થે, હરિ રહે જુગજુગમાંય ।।૧૦।। કડવું ।।૪૧।। read more
0 Views : 116

ભક્તિનિધિ કડવું:- ૪ર

રાગ:- ધન્યાસરી જુગોજુગ જીવન રહે જન હેતજી, જે જને સોંપ્યું તન મન સમેતજી। સહુશું તોડી જેણે પ્રભુશું જોડી પ્રીતજી, એવા ભક્તની કહું હવે રીતજી ।।૧।। રાગ :- ઢાળ રીત કહું હરિભક્તની હવે, જેણે પ્રભુ વિના પળ ન રે’વાય। જેમ જળ વિના ઝષના, પળ એકમાં પ્રાણ જાય ।।૨।। અમૃત લાગે તેને મૃત જેવું, પંચામૃત તે પંકસમાન । શય્યા લાગે શૂળી સરખી, જો ભાળે નહિ ભગવાન ।।૩।। શ્રીખંડ લાગે પંડ્યે પાવક જેવું, માળા લાગે મણીધર નાગ । હરિસેવા વિના હરિજનને, અન્ય સુખ થઇ ગયાં આગ ।।૪।। વળી ભવન લાગે તેને ભાગસી, સંપત તે વિપત સરખી । કિર્તિ જાણે કલંકે ભરી, સુણી હૈયે ન જાય હરખી ।।૫।। નિરાશી ઉદાશી નિત્યે રહે, વહે નયણમાં જળધાર । હરિ વિનાનું હોય નહિ, હરિજનને સુખ લગાર ।।૬।। સૂતાં ન આવે નિદ્રા જેને, જમતાં ન ભાવે અન્ન । ભક્તિ વિના હરિભક્તને, એમ વરતે રાત ને દન ।।૭।। ગાન લાગે શબ્દ સિંહ સર્પસમ, તાન લાગે તાડન તન । પડયું વિઘન જાણી તે પરહરે, ભક્તિ વિના ભાવે નહિ અન્ય ।।૮।। પ્રભુ વિના જેના પંડમાં, પ્રાણ પીડા પામે બહુપેર । એવા ભક્તને ભાળી વળી, મહાપ્રભુ કરેછે મે’ર ।।૯।। ભાખ્યા ગુણ હરિભક્તના, જોઇએ એવા જનમાં જરૂર । નિષ્કુલાનંદ કહે નાથ એવાથી, પળ એક રહે નહિ દૂર ।।૧૦।। કડવું ।।૪૨।। read more
0 Views : 125
Powered By Indic IME