ગઢડા પ્રથમ – ૩૯ : સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું સંવત્ ૧૮૭૬ ના માઘ સુદિ ૩ ત્રીજને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ-નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને પીળા પુષ્પના તોરા પાઘમાં લટકતા હતા ને કાન ઉપર ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ર્ન પુછયો જે, “તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઇશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ, તે સર્વેને મિથ્યા કહો છો એ વાત અમને સમજાતી નથી, તથા માન્યામાં આવતી નથી. માટે તમને પુછીએ છીએ તેનો ઉત્તર કરો, તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ તેની સાખ્યે કરીને કરો, પણ કોઇક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ, અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે.” પછી તે વેદાંતીએ ઘણીક પ્રકારની યુકિતઓ લાવીને ઉત્તર કરવા માંડયો પણ શ્રીજીમહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્ર્નનું સમાધાન થયું […]
read more