સંવત્ ૧૮૮૧ના પોષ શુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા નંખાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખાર-વિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક ન્યૂન ભાવ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વાપર વિચારીને જોયું, ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે, મત્સ્ય, કચ્છ, વારાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે, તે સર્વે અવતારના અવતારી તે શ્રીકૃષ્ણ ભગવાન છે, પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે આપણા ઇષ્ટદેવ છે અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર શ્રીમદ્ભાગવત પુરાણના દશમસ્કંધને વિષે સંપૂર્ણ કહ્યાં છે, માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે અમે દશમસ્કંધને અતિશે પ્રમાણ કર્યો છે અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રીકૃષ્ણ ભગવાનના જ છે, માટે એ અવતાર ને એ અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષે કરીને તો શ્રીકૃષ્ણ ભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા.” પછી પુરૂષોત્તમ ભટ્ટે પ્રશ્ર્ન પુછયો જે, […]
read more