સંવત્ ૧૮૭૮ ના માગસર વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી તકીયા નંખાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઇ ઓઢી હતી, અને મસ્તક ઉપર ધોળો ફેંટો વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે, તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે તો ‘જેને પરમેશ્વરની ભકિત નહિ, અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વત્સલ છે, પતિતપાવન છે, અધમ ઉદ્ધારણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહિ.’ તે એવા તો આ સંસારમાં બે મત છે, એક તો નાસ્તિકનો ને બીજો શુષ્ક વેદાંતિનો. એ બે અતિ કુસંગ છે. અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઇ કાળે છુટકો થાય. તથા બાળહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્યા ઇત્યાદિક જે મોટાં પાપ તેના કરનારનો પણ કોઇ કાળે છુટકો થાય ખરો, પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઇ કાળે છુટકો થાય નહિ; શા માટે જે, એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઉધી છે. તેમાં નાસ્તિક તો એમ […]
read more