સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને પરમહંસ દુકડ, સરોદા, સતાર વજાડીને મલાર રાગનાં કીર્તન ગાતા હતા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન ગાવવાં રહેવા દ્યો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ.” પછી પરમહંસે કહ્યું જે, ‘સારૂં મહારાજ !’ પછી શ્રીજી મહારાજે પ્રશ્ર્ન કર્યો જે, “શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મ પાળતો હોય, ને ભગવાનની ભકિત પણ કરતો હોય, ને તેને એવો આપત્કાળ આવે જે ભકિત રાખવા જાય તો ધર્મ જાય, ને ધર્મ રાખવા જાય તો ભકિત જાય, ત્યારે કેને રાખવો ને કેનો ત્યાગ કરવો ?” પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “જો ભગવાન ભકિત રાખ્યે રાજી હોય, તો ભકિત રાખવી અને જો ધર્મ રાખ્યે રાજી હોય, તો ધર્મ રાખવો.” ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, “જેને પ્રગટ ભગવાન મળ્યા હોય, તેને તો જેમ ભગવાન રાજી હોય તેમજ કરવું એ ઠીક છે. પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય, ત્યારે કેમ કરવું ?” પછી મુકતાનંદ સ્વામી એનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “જ્યારે ભગવાન પરોક્ષ હોય, ને આપત્કાળ પડે, ને કોઇ ન રહે, ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતવન […]
read more