સંવત્ ૧૮૮૫ના કાર્તિક શુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, ભગવાન સંબંધી ભકિત, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી. એમ સચ્છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું પણ એટલી તો ઈચ્છા રાખવી જે, એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભકિત આદિક જે ગુણ તેણે કરીને ભગવત્પ્રસન્નતારૂપ ફળને ઈચ્છવું. અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધા મુકિત આદિક ફળની પ્રાપ્તિ થાય. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભકિત કરે તેની ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી, ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફુલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. કેમકે, ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે, તેમ ભગવાન તુરત રાજી થાય છે. અને વળી, ભગવાનનો ખરો ભક્ત તે […]
read more