સંવત્ ૧૮૮૪ના અષાઢ શુદિ તૃતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ર્ન પુછીએ જે, ઈન્દ્રિયો ને મન એ બેને જીત્યાનું એક સાધન છે, કે ઈન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે, મન ને જીત્યાનું જુદું સાધન છે ? એ પ્રશ્ર્ન છે.” પછી મોટા મોટા પરમહંસ હતા તેમણે જેવું જેને ભાસ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ, એ ચાર સાધને કરીને ઈન્દ્રિયો જીતાય છે, અને ભગવાનની માહાત્મ્યે સહિત જે નવધા ભકિત તેણે કરીને મન જીતાય છે.” પછી મુકતાનંદસ્વામીએ પુછયું જે, “જેવી નિર્વિકલ્પ સમાધિને વિષે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે, એજ એનો ઉત્તર છે.” પછી શ્રીજીમહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ર્ન પુછયો જે,”ગમે તેવા ભૂંડા […]
read more