મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે ને દેહમાં તો સુખ-દુઃખ આવે, તેનો તો નિર્ધાર નહિ, બાકી તેને દિન-દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય, ને દહાડે દહાડે વધતો જાય એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે. ને જેણે સ્વભાવ મૂકયા હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય, તે સર્વે ઉપર મોટાની દષ્ટિ રહ્યાં કરે. ને એક તો સો જન્મે એકાંતિક થાવાનો હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઊતરતાનો સંગ થાય તો સો જન્મ ધરવા પડે. તેમાં દષ્ટાંત જે, જેમ દસ મણ પાણા સાથે એક મણ લાકડું બાંધે તે લાકડાંને બુડાડે, ને દસ મણ લાકડાં સાથે એક મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે. ।।૧૭૮।।
read more