સંગનું રૂપ કહ્યું જે, ભેગા રહે પણ સંગ ન કરે, તેમાં ઊનાના શેઠિયાનું દષ્ટાંત દીધું જે, સાઠ માણસ ભેગાં રહેતાં પણ તેમાં સંગ તો પુરુષ, સ્ત્રી ને છોકરો એ ત્રણને હતો. ને ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડ ખવાય છે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે, તો કુસંગી ભૂલાવે એમાં શું કહેવું ? ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઇએ આશા જ રાખવી નહિ; કેમ જે, કોઇનું કામ પુરું થયું નથી ને થાશે પણ નહિ. ને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી પણ તેમાં પ્રભુ ભજાય નહિ ને પશુ, પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય ને મનુષ્યદેહમાં ભજાય; તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય, ખાવા ન મળે તોપણ ન ભજાય ને રોગ થાય તોપણ ન ભજાય, ઇત્યાદિક વિઘ્ન છે. આ તો સર્વ વાતે સાનુકૂળ છે; તેમાં પણ પ્રભુ નહિ ભજે તો પછી કીયે દહાડે ભજાશે ? ।।૧૫।।
read more