સર્વ કરતા ઉપાસના સમજવી એ મોટું સાધન છે ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા, એક તો એમ જ સમજવાનું છે ને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. તે ‘સ્વરૂપનિર્ણય’માં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. તે એ બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. ને એ બે વાત મુખ્ય રાખવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે, ને મહિમા વતે સર્વ સાધન થાય છે, ને મહિમા સર્વ કરતા બળવાન છે. તે શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી, એ કરવાનું છે. ને ઉપાસનાની વિકિત જે, જેવા મહારાજને સમજે તેવો પોતે થાય. મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદરિકાશ્રમને પામે તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. ને શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે, “જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે ને ભગવાન તો અપાર ને અપાર રહે છે.” ।।૨।।
read more