પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય, એમ અડગપણે ભગવાનને સમજે. વળી, મહારાજે કરોડ કરોડ સાધન કહ્યાં છે, પણ તેમાં ત્રણ મુખ્ય છે: તેમાં એક ભગવાન, બીજું તેમનાં ભકતને વિષે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા, એ ત્રણેય જો બરાબર સમજે તો બધુંયે થયું. ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો ને આજ્ઞામાં સર્વે સાધન પણ આવી ગયાં. અને આપણે મહારાજની આજ્ઞા, ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે.માટે જે જે કરવાનું છે તે આપણે થઇ રહ્યું છે, હવે કાંઇ કરવું રહ્યું નથી. ।।૨૯૫।। સંવત્ ૧૯૨૩ના ભાદરવા માસ પર્યન્ત સ્વામીએ વાતો તો ઘણી કરી છે, પણ આ તો સંક્ષેપ માત્ર લખાણી છે; નેવળી આ વાતો તો સ્વામીએ પોતે જૂનાગઢના મંદિરમાં પોતાને આસને બાળમુકુંદદાસજી પાસે બ્રહ્મચારી અચિંત્યાનંદજી વગેરે સર્વે સંતમંડળ સાંભળતે વંચાવી, ને પછી સ્વામી બોલ્યા જે,‘આ વાતો તો બહુ સારી છે અને શ્રીજીમહારાજની કરેલી પણ વાતો આમાં ઘણી છે’ ત્યારે બ્રહ્મચારીએ તે વાતો સાંભળીને કહ્યું જે, ‘તમે કહો છો તેમજ છે.’અને આ જે સ્વામીની વાતો છે તેને જે કોઇ વાંચે, સાંભળે વિચારે તેણે તેટલો સ્વામીનો સમાગમ કર્યો કહેવાય. કેમ જે સ્વામીએ પોતે એમ કહ્યું છે જે, ‘જેનું કરેલું શાસ્ત્ર વાંચે, સાંભળે તેટલો તેનો સમાગમ કર્યો કહેવાય છે.’ ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ગુણાતીતાનંદસ્વામીની કરેલી વાતોમાં સર્વદેશી સમજણનું મુખ્યપણું કહ્યુંએ નામે પાંચમું પ્રકરણ સમાપ્ત.
read more