જીવનની સાચી સૌરભ પ્રગટે છે સત્સંગથી. ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું છે કે સર્વ સાધનોમાં સત્સંગ શ્રેષ્ઠ છે. ભગવાન તેમજ તેમના એકાંતિક ભક્તોના પ્રસંગથી સત્સંગ બાગમાં મહેકતાં અનેક જીવનપુષ્પો ખીલે છે. જ્ઞાનની ગહન વાતો કરતાં સંતો અને ભક્તોના જીવન પ્રસંગો પ્રેરણાદાયક છે ને આપણા અંતરને ભીંજવી જીવન ઘડતર કરે છે. આવા સત્સંગપુષ્પોની અનેરી સુવાસ આપના સુધી પહોંચાડવા માટે આ નાની પુસ્તિકા દ્વારા પ્રશંસનીય પ્રયાસ થયો છે. આ પુસ્તિકાના લેખક સ્વામી લક્ષ્મીનારાયણદાસજી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મુખપત્ર સદ્વિદ્યા માસિકના સહતંત્રી છે. પૂ. શાસ્ત્રીજી મહારાજની કૃપાથી તેમનામાં લેખનશક્તિ ખીલી. સત્સંગ સૌરભમાં રજૂ થયેલા પ્રસંગોને લેખકે રસાળ શૈલીમાં નિરુપ્યા છે. અલ્પ સમયમાં એક જ બેઠકે પૂરી થઈ શકે તેવી આ નાનકડી પુસ્તિકા એક વખત હાથમાં લીધા પછી સાંગોપાંગ પૂરી કરવાનું મન થાય એવી એની રોચક અને રસદાયક શૈલી છે. હાથમાં લીધેલ અત્તરનું પૂમડું છોડી દીધા પછી પણ પોતાની સુવાસ મૂકતું જાય તેમ આ પ્રેરણાદાયક પ્રસંગો વાંચતી વખતે તો આપણા અંતરને રસતરબોળ કરે છે પણ વાંચી લીધા બાદ પણ આપણા અંતરમાં કોઈ અનેરી પ્રેરક સુવાસ છોડતા જાય છે અને એટલે જ આ પુસ્તિકાનું નામ સત્સંગ સૌરભ સાર્થક ઠરે છે.
read more