સંવત્ ૧૮૭૮ ના ફાગણ શુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા, અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી, તથા શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદસ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સુરત દઇને સાંભળો. એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એજ સિદ્ધાંત છે; અને જીવના કલ્યાણને અર્થે પણ એટલીજ વાત છે જે આ સર્વે જગત છે, તેના કર્તાહર્તા એક ભગવાન છે, અને સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે, કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે તેણે કરીને કાંઇ કલ્યાણ થતું નથી, અને કેવળ વર્ણાશ્રમના ધર્મવતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તાહર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે, તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ, ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય […]
read more