પૂર્વછાયો:- સંવત શુભ અષાઢાદિની, બેઠી ઓગણસાઠની સાલ; મહાપ્રભુ માંગરોળમાં, વશી રહ્યા વરષા કાળ. 1 ચોપાઈ:- શુદિ બીજ અષાઢી ગણાય, રથજાત્રાનો ઉત્સવ થાય; પ્રભુ આજ્ઞાથી પૂરણ પ્રીતે, કર્યો ઉત્સવ તે રુડી રીતે. 2 દેવપોઢણી એ પછી આવી, ભલી એકાદશી મન ભાવી; સૌને નિયમ વિશેષ ધરાવ્યાં, ચાંદ્રાયણ આદિ વ્રત રખાવ્યાં. 3 કરે ગર્જના મેઘ આકાશે, થાય વીજળી ત્યાં ચારે પાસે; કયારે ઇન્દ્રધનુષ્ય દેખાય, વૃષ્ટિ વિશ્વ વિષે ઘણી થાય. 4 કરે મોર અધિક ઉચ્ચાર, ગાય મુનિજન રાગ મલાર; વદી અષાઢની દ્વિતીયાય, બેઠા હીંડોળે શ્રીહરિરાય. 5 આવી શ્રાવણી પૂનમ સારી, કર્યો ઉત્સવ કુંજવિહારી; જન્મઅષ્ટમીનો દિન આવ્યો, મોટો ઉત્સવ કૃષ્ણે કરાવ્યો. 6 પરગામ તણા સતસંગી, આવ્યા અંતરે અધિક ઉમંગી; અમદાવાદના જન આવ્યા, એ તો એવા સમાચાર લાવ્યા. 7 માંડી રઘુનાથદાસે ઉપાધી, કૈંક સાધુને લીધા છે સાધી; મહારાજની નિંદા કરે છે, સૌથી શ્રેષ્ઠ તો પોતે ઠરે છે. 8 વાત શ્રીહરિને તે સુણાવી, ત્યાંનો પત્ર આપ્યો વળી લાવી; હરિભકતોયે તેમાં લખેલું, અમને દુઃખ છે ઉપજેલું. 9 કોઇ સદ્ગુરુ મંડળ સાથ, અમદાવાદ મોકલો નાથ; આંહી આવી ઉપાધિ શમાવે, દાસ રઘુનાથને સમજાવે. 10 એવા સાંભળીને સમાચાર, વૃષનંદને કીધો વિચાર; રામદાસજીને કહી વાત, ઝટ જાઓ તમે ગુજરાત. 11 જૈને સર્વે ઉપાધિ શમાવો, દાસ રઘુનાથને સમજાવો; જો તે સતસંગમાંથી નિસરશે, કૈંક જીવનું પણ ભૂંડુ કરશે. 12 માટે રાખજો જેમ તેમ કરી, […]
read more