વ્રજ વનિતાના પ્રેમને જોવા વળીજી, વાલ્યમે વગાડિ વનમાંયે વાંસળીજી । સુણી સર્વ સુંદરી મોહનને જઈ મળીજી, એક રહી આવરી નવ શકી નિકળીજી ।।૧।। ઢાળ – નિકળી નવ શકી સુંદરી, ગોપી ઘેરીને ઘાલી ઘરમાં ।દેહ ગેહમાં ગ્રહિ ઘાલ્યું, પણ પ્રાણ કાંઈ છે તેના કરમાં ।।૨।। તેહને વિરહ ઊપન્યો અંગમાં, વળી વિયોગ રોગ વાધ્યો ઘણું । આ સમે હું તો રહી અમથી, અહો અભાગ્ય એવું મુજતણું ।।૩।। એમ સ્નેહમાં શોચે ઘણું, વનિતા કહે રહી વાંસળ્યે, પછી મેલ્યું દેહ મંદિરમાંયે, પ્રાણ પો’તા પિયુને પાસળ્યે ।।૪।। એહ રીતે પો’તી અબળા, મોહનજી સંગે જૈ મળી । ભૌતિકદેહનું ભાન ભૂલી, અતિવાકયદેહ પામી વળી ।।૫।। પ્રેમી જનનું એહ પારખું, પ્રિતમવિના પળમાં મરે । પિયુ વિયોગે પ્રાણ રહે, તે સ્નેહ શઠ સાને કરે।।૬।। પ્રીતની તો રીત એહવી, જેના પ્રીતમ સાથે પ્રાણ છે । જીવન વિના જરૂર જેને, પંડ્ય પાડવું પ્રમાણ છે ।।૭।। ધન્ય એ નારી પ્રેમપ્યારી, જેણે વા’લા વિયોગે તન ત્યાગિયું । અલ્પ સુખની આશા મેલી, મન મોહનજીશું લાગિયું ।।૮।। એવા જનથી અર્ધ ઘડી, વાલમ ન રહેવેગળા । હેતે હળ્યા રહે મળ્યા, જો અંગે હોય કોયે અબળા ।।૯।। શું થાયે કૈયે હેત જો હૈયે, અને પ્રેમ વિના તો સુકું સરે । નિષ્કુલાનંદ સર્વે સાધન, સ્નેહી સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૭।।
read more