દોહા :- મંગળકારી મૂરતિ, શ્રીસહજાનંદ સુખધામ ।। ભકિતધર્મસુત ભાવશું, રહ્યા અંતરમાં ઘનશ્યામ ।। ૧ ।। એવા ઇષ્ટ એહ માહેરા, તેના ઇષ્ટ તે શ્રીકૃષ્ણ ।। જેને વામ રાધા ઉર રમા, વૃન્દાવનરમણ મન પ્રસન્ન ।। ૨ ।। એવા ઇષ્ટને ઉર ધરી, બોલ્યા તે સહજાનંદ ।। મુજ આશ્રિત ત્યાગી ગૃહી, સુણો નર ત્રિય વૃન્દ ।। ૩ ।। શિક્ષાપત્રી સુંદર અતિ, તમે સાંભળજયો મુજ જન ।। લખું વસી વરતાલમાં, આ છે છેલાં વચન ।। ૪ ।। ચોપાઈ :- બહુ બહુ કરી મેં વાત રે, તે સાંભળી તમે સાક્ષાત રે ।। હવે છેલ્લી વાત છે આ મારી રે, તમે સહુ લેજયો હૈયે ધારી રે ।। ૫ ।। દેશ પ્રદેશમાં જે રહેનાર રે, મારાં આશ્રિત જે નરનાર રે ।। તમ પ્રત્યે શિખામણ મારી રે, સુખદાયક છે અતિ સારી રે ।। ૬ ।। ધર્મપુત્ર પવિત્ર બે ભાઈ રે, મારા વીર જન સુખદાઈ રે ।। મોટા ભાઈ છે રામપ્રતાપ રે, નાનાભાઈ ઇચ્છારામ આપ રે ।। ૭ ।। તેના પુત્ર બે ગુણ ગંભીર રે, અવધપ્રસાદ ને રઘુવીર રે ।। તેને દત્તપુત્ર કરી સ્થાપ્યા રે, મંદિર દેશ વહેંચીને આપ્યા રે ।। ૮ ।। કર્યા સાધુ સતસંગી અમે રે, તેના આચાર્ય છોજી તમે રે ।। હવે સાંભળો મુજ આશ્રિત રે, મારાં વચનમાં દઈ ચિત્ત રે ।। ૯ ।। વર્ણી મુકુંદ આદિ […]
read more