રાગ :- ધન્યાશ્રી બૃહત વૈરાગ્ય વર્ણવ્યો બહુવિધિજી, અતિશય મોટપ્ય એહની કિધિજી । પ્રભુ પ્રસન્ન કરવા એ છે નૌત્તમ નિધિજી, સદા સુખકારી એ જાણો પ્રસિદ્ધિજી ।।૧।। રાગ :- ઢાળ પ્રસિદ્ધ પ્રભુને પામવા, એવી નથી બીજી મીરાંથ । સરવે અંતરાઈ અળગી કરી, આપે હરિના હાથમાં હાથ ।।૨।। જે હરિ સિંધુ સર્વે સુખના, સદા સર્વદા સુંદર શ્યામ । જેને પામી ન રહે પામવું, પામી થવાયે પૂરણકામ ।।૩।। તેહ પ્રભુને પમાડવા, શુદ્ધ વૈરાગ્ય છે વળાવો વળી । તેહ પો’ચાડે હરિ હજુરમાં, મુખોમુખ દિયે મેળવી ।।૪।। પછી તે હરિજનને જાણજો, વિઘન સર્વે વિરમ્યાં । મળતાં શ્રીમહારાજને, દૈહિક દુઃખ સર્વે શમ્યાં ।।૫।। કમી ન રહી કોઈ વાતની, પામ્યા પૂરણ પુરુષોત્તમ । સુંદર સાકાર મૂરતિ, અતિ રુપાળી રુડી રમ્ય ।।૬।। તે પ્રભુની પાસે દાસ, વાસ કરીને રહે સદાય । બીજું ન ઇચ્છે અંતરે, ઇચ્છે ભક્તિ કરવા મનમાંય ।।૭।। ભક્તિ વિના ભાવે નહિ, ભૂલ્યે પણ ભિંતર મોઝાર । સર્વે પ્રકારે સમઝે, ભક્તિ સારમાં સાર ।।૮।। ભક્તિએ કરી હરિ રીઝવે, રિઝે સુખદ શ્રીમહારાજ । ત્યારે ખામી રતિ પણ નવ રહે, પામે સર્વે સુખનો સમાજ ।।૯।। ભાવે ભરી કરે ભગતિ, અતિ આનંદ આણી ઉર । નિષ્કુલાનંદ તેની ઉપરે, હરિ રાજી થાયે જરૂર ।।૧૦।। કડવું ।।૨૧।।
read more