Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

સ્નેહગીતા કડવું:- ૧૭

એમ વળી વનિતા વિલખી પાછી વળીજી, ચરણ ન ચાલે ધરણિયે પડે ઢળીજી । અંબર આભૂષણ સંભાળવા શુદ્ધ ટળીજી, વાયદો વાલાનો કોઈ ન શકી કળીજી ।।૧।। ઢાળ – કળી ન શકી જે કૃષ્ણે કહ્યું, તેને વિચારવા વનિતા મળી । શું કહ્યું બાઈ શ્યામળે, કયારે આવશે વ્રજમાં વળી ।।૨।। અચેત હતી સહુ આપણે, પ્રિછ પડી નહિ તેહ પળમાં ।કાંઈક કુડું સાચું સજની, કહ્યું છબિલે છળમાં ।।૩।। એણે કહ્યું એકવાર મળશું, એમાં કપટ કાંઈક છે સહિ । એકવાર તે કોણ જાણે કૈયે, એનો કાંઈ નિરધાર નહિ ।।૪।। બાઈ જાતાં જાતાં જુઠું બોલ્યા, અને કોલ બોલ કુડા કર્યા ।  નખશિખ લગી નાથ બાઈ, ઘણું છબિલોજી છળમાં ભર્યા ।।૫।। હાથ ન આવે હવે હરિ, ખોઈ બેઠાં ખરી મીરાંથજી । મણિ ચોરાણી મળે નહિ બાઈ, પિયુ ગયા પરને હાથજી ।।૬।। શુકન જુવો સહુ મળીને, અલબેલોજી કૈયે આવશે ।  પોતે પધારશે પ્રેમશું કે, આપણને ત્યાં તેડાવશે ।।૭।। એમ માંહોમાંહિ મળી વળી, મનસુબો કરે મનમાં ।  એમ વિલખી વિલખી વનિતા, પછી ભામિની ગઈ ભવનમાં ।।૮।। તિયાં મહી માખણદુધદેખી, ઘણો શોક કરી રૂવે સુંદરી ।  હવે ગિરિધર વિના ઘરમાં, આ પિશે કોણ પ્રેમે કરી ।।૯।। અંતર પ્રીતને ઊપર કે’તાં, લાજ લોકની વળી લાવતાં ।  નિષ્કુલાનંદના નાથને બાઈ, કાંઈ મષ લઈને બોલાવતાં ।।૧૦।। કડવું ।।૧૭।। read more
0 Views : 161

સ્નેહગીતા કડવું:- ૧૮

વનિતાને વેદના વ્યાપી વિયોગનીજી, પણ વીતે પંડ્યને વણ રોગે રોગનીજી । કરે અતિ જંખના શ્યામ સંયોગનીજી, ભૂલી ગઈ ભામિની ભવવૃત્તિ વૈભોગનીજી ।।૧।। ઢાળ – ભવ વૈભવની ભૂલી વૃત્તિ, જેની સુરતિ લાગી લાલશું । રહે ઊદાસી થઈ નિરાશી, મન મોહે નહિ ધન માલશું ।।૨।। જેહનું પ્રીતે ચિત્ત ચોરાણું, અને ઈશક લાગી જેના અંગમાં ।તેનું માશુક વિના મન બીજે, રાચ્યું નહિ કોઈ રંગમાં ।।૩।। બોલ્યું ન ગમે બીજું તેહને, પ્રિતમના ગુણગાન પખી । અન્ય કથા કાને સુણતાં, દાઝેદલ ને થાયદુઃખી ।।૪।। જેમ મીનને નેક નીર વિના, વળી ક્ષીરે ક્ષણું સુખ નવ વળે ।  તેમ પ્રેમી જનને પિયુ વિના, અન્ય ઊપાયે અંતર જળે ।।૫।। જેનું પ્રેમબાણે પ્રાણ પ્રોયું, ભાવભલકે ભતર ભેદિયું ।તેહને તે જંપ કયાંથી હોય તનમાં, જેનું રંગ ને રૂપ છેદિયું ।।૬।। ફરે ઊદાસ મૂકે નિશ્વાસ, પાસે નથી પિયુ જેહને ।  ઊન્મત્તવત ગતિ હોયે અંગની, અન્ય જન ન જાણે તેહને ।।૭।। એવા ભાવને પામી અબળા, હરિ વિયોગે વળી વિરહિણી ।  પિયુપિયુ પોકાર કરતાં, વણદીઠે પ્રિતમ વિલખે ઘણી ।।૮।। લોહી માંસ ને લાલી મુખની, હરિ જાતાં એટલું હરિ ગયા ।  અસ્થિ ત્વચા ને પ્રાણ પ્રેમીનાં, વળતાં તનમાં તે રહ્યાં ।।૯।। પ્રાણને પિયુ વિયોગે, પ્રેમી ન રહે રાખીને ।  નિષ્કુલાનંદના નાથને, જાણું જોશું કયારે કરી ઝાંખીને ।।૧૦।। કડવું ।।૧૮।। read more
0 Views : 146

સ્નેહગીતા કડવું:- ૧૯

એમ વિયોગ રોગ તે વનિતાને વાધિયોજી, જેનો પ્રાણ પ્રિતમશું બાંધિયોજી । જેણે શ્યામ સાથે સ્નેહડો સાંધિયોજી, પ્રમદાના પ્રેમનો પાર નવ લાધિયોજી ।।૧।। ઢાળ – પાર ન લાધ્યો પ્રેમ કેરો, વળી સુંદરીના સ્નેહનો । પ્રેમવશ પરવશ થઈ, ન કર્યો સંભાળ જેણેદેહનો ।।૨।। જળ ભરવા જાયે જુવતી, સ્થળ સ્થળ પ્રત્યે થોભે ઘણું । ઈયાં રહી મારી આળ કરતા, ઈયાં તાણ્યુંતું અંબર અંગતણું ।।૩।। ઈયાં મુજને આડા ફરતા, ઈયાં રોકી મુજને રાખતા । હેતદેખાડી લોભ લગાડી, ઈયાં ફંદમાં મને નાખતા ।।૪।। ઘડો ચઢાવી ઘણા હેતે, વળી સાનમાં સમઝાવતા ।  કોયે ન જાણે જન બીજો, એમ મંદિર મારે આવતા ।।૫।। એવાં સુખ સંભારતાં, વળી હૃદયે ભરાય છે રોદને,એકાંત જાઈ રુવે અબળા, કરી વિલાપ ઊચ્ચે વદને ।।૬।। રોઈ રોઈને રાતાં કરે, લોચન લાલ ગુલાલરે ।  સ્નેહ સાલે શરીરમાંયે, જેને વા’લા સાથેછે વા’લરે ।।૭।। ઘણીવાર જાણી ભરે પાણી, વળી વનિતા પાછી વળે ।  રહે આતુરતા અંતરમાંયે, જાણે મોહનજી કયારે મળે ।।૮।। ઘટ ગાગર સોતી ઘેર પો’તી, વિસરતો નથી વિયોગ વળી ।  ભાર ન ગણે ઊભી આંગણે, જાણિયે પ્રાણ વિનાની પુતળી ।।૯।। સ્નેહ એનો હું શું કહું, જેને પિયુશું પૂરણ પ્રીત છે,  નિષ્કુલાનંદ નથી કે’વાતું, જથારથ જેવી એની રીત છે ।।૧૦।। કડવું ।।૧૯।। read more
0 Views : 129

સ્નેહગીતા કડવું:- ર૦

એ દિન જાયે બહુ દિલદાઝતાંજી, ભૂલી શુદ્ધ ભામિની હરિ સંગે હેત બાંધતાંજી । વિયોગે વિલખે રુવે ધુમ મષે રાંધતાંજી, એમ અહોનિશ વીતે પિયુને આરાધતાંજી ।।૧।। ઢાળ – અલબેલાને આરાધતાં, અતિ વ્યાકુળ થાયે વનિતા । જાણે જાઉં વનમાં જીવન હશે, એમ અંતરે થઈ આતુરતા ।।૨।। ગોરસ રસ ભરી ગોળીયે, મહી વેચવાનો મષ લઈ । પછી કુંજકુંજમાં કામિની, જીવનને ગોતે જઈ ।।૩।। કયાં હશે બાઈ કૃષ્ણ કહોને, એમ માંહોમાંહિ પુછે મળી ।જયારે ખબર ન પામે ખોળતાં, ત્યારે વલવલે વિલખે વળી ।।૪।। કહેઆજ વનમાં ક્રિડા કરતા, કહે આજ વનમાં રાસ રમિયા ।  તેહજ વનમાં જીવન જાતાં, સર્વે સ્થળ ખાવા થયાં ।।૫।। જેમજેમ વન જુવે જુવતી, તેમતેમ કૃષ્ણ સાંભરે । વિરહ વાધે અંગ બાધે, પછી આંખડિયે આંસુ ઝરે ।।૬।। સજજન થોડા સાલે શરીરે, અંગે સાલે ઘણાં એધાંણ । સંયોગમાં એ નવ જણાએ, પણ વિયોગે વિલખે પ્રાણ ।।૭।। એમ વૃક્ષ વેલી વન સરવે, ઘણું શોધતાં સંધ્યા પડે ।  પણ કૃષ્ણ વસે મથુરાં માંહિ, તે વનમાં જોતાં કેમ જડે ।।૮।। એમ વન જોઈને જુવતી, વળી ભવનઆવી ભામિની । રાજ વિના કાંઈ કાજ ન સુઝે, જેને લાગી લગન શ્યામની ।।૯।। પ્રાણ પ્યારાની પ્રિત લાગી, તેણે ત્યાગી તનની આશ જો ।  નિષ્કુલાનંદ એહ સ્નેહે નારી, પડી પ્રેમને પાશ જો ।।૧૦।। કડવું ।।૨૦।। read more
0 Views : 145

સ્નેહગીતા પદ:- ૦પ

રાગ: આશાવરી – પ્રાણ મરે જો પ્રિતમ વિના, વળી પિયુ વિયોગે પે’લા જાજોરે ।  મગન થઈને હું માગુછું મનમાં, એવું બાઈ મારે થાજોરે; પ્રાણ૦ ।।૧।। સખીરે મણિ નિગમતાં મણિધર જીવે, તેને તે સુખ સખી કયુંરે । ધનહારી નિર્ધન નર રે’તાંરે, તેને સુખ રતિ કયાં રહ્યુંરે; પ્રાણ૦ ।।૨।। સખીરે જત ગયા પછી જતી મરે જો, સત ગયા પછી સતીરે ।  પત ગયા પછી કોય મરે જો, નગર ગયા પછી નગરપતિરે; પ્રાણ૦ ।।૩।। સખીરે ફળ રહિત રંભા જે કોયે રહે, તેતો અર્થ શે આવેરે ।  નિષ્કુલાનંદના નાથ વિયોગે, માગ્યું મોત કયારે ન આવેરે; પ્રાણ૦ ।।૪।। પદ ।।૫।। read more
0 Views : 131

સ્નેહગીતા કડવું:- ર૧

એમ અબળા અકળાય અતિ ઘણુંજી, મન કરે મોહનમુખ જોવા તણુંજી । વણદીઠે વા’લમ અંતર સુખ નહિ અણુંજી, મેલી નિઃશ્વાસ ધિક્કારે આપ્યું ઘણુંજી ।।૧।। ઢાળ – આપણો અવગુણ પરઠી, અબળા મુખે એમ ઊચ્ચરે । અહો બાઈ કૃષ્ણ વિના, હેત આપણે એવું કોણ કરે ।।૨।। જેદિ અસન હતાં બાઈ આપણે, પિયુસુખને નવ પ્રિછતાં । અસત્ય સત્યને ઓળખ્યા વિના, વળી અનેક વસ્તુને ઈચ્છતાં ।।૩।। ખબર નહોતી ખોટ બુદ્ધિની, વળી ન્યાય અન્યાય નવ જાણતાં । સુખદુઃખને સમજયા વિના, વળી વિષ એ અમૃતવત માણતાં ।।૪।। એમ વિમત હતી આપણી, બાઈ એશું અવળાં ચાલતાં ।  હેત કરી હરિ મંદિર આવતા, તેને તસ્કર કરીને ઝાલતાં ।।૫।। એનો આપણે અભાવ લઈ, જઈ કહેતાં જશોદા આગળે । તોયે હૃદયે રોષ નવ ધારતા, કરતા પ્રીત હેતે પળેપળે ।।૬।। પરાણે એણે પ્રીત કીધી, અલબેલે આપણે સાથજી ।  જાત બાઈ ભવવારિમાંહી, તેતો હરિએ રાખ્યાં ગ્રહી હાથજી ।।૭।। સમે સમે એણે સુખ દિધાં, વળી લાડિલાએ લાડ લડાવિયાં ।  આપણું ગમતું કીધું એણે, માનદઈને મન મનાવિયાં ।।૮।। વળી આપણી અવળાઈ જુવો, એને બંધાવિયાતા આગળે ।  એના ગુણ અવગુણ આપણા, કેટલાક લખીએ કાગળે ।।૯।। જેજે હેત કર્યું હરિયે, તેતો કહ્યે કેમ આવશે ।  હવે નિષ્કુલાનંદના નાથ વિના, બાઈ લાડ કોણ લડાવશે ।।૧૦।। કડવું ।।૨૧।। read more
0 Views : 117

સ્નેહગીતા કડવું:- રર

વળી વા’લપ વા’લાની કહ્યે નથી આવતીજી, જેજે કાંઈ કરિયું એણે આપણી વતીજી । અલબેલે આપિયું સુખ સમેસમે અતિજી, આપણે ન જાણ્યું માનિની મહા મૂઢમતિજી ।।૧।। ઢાળ – મૂઢમતિ અતિ આપણી, એને કાળો કહીને બોલાવતી । કંઈક વાતની વાતમાંયે, એને હા કહીને હુલાવતી ।।૨।। વળી મહી મથાવ્યાં વત્સ ચરાવ્યાં, વળી કરાવ્યાં ઘરનાં કામને । કઠણ કહેતાં મ્હેણાંદેતાં, વળી લેતાં ટુંકારે નામને ।।૩।। છાશ ખાટી વાટિદેતાં, વળી માખણદઈને નચાવતાં। નટની પેરે નૃત્ય કરાવી, ઘેરઘેરથી જોવા આવતાં ।।૪।। વળી ડાહી થઈ બાઈ આપણે, એને કાળો જાણીને કલાવતી ।  અંતરે ભાર એનો આપણે, લેશ પણ નવ લાવતી ।।૫।। કપટી લંપટ કુડા બોલો, વળી તસ્કર કહેતી તેહને । અનાદર બાઈ કરતાં એનો, તોયે તે નવ તજતો સ્નેહને ।।૬।। વળી ભલાઈ બાઈ ભૂધરજીની, જોને કહીએ મુખથી કેટલી ।  નથી કહેવાતી હેત પ્રીતની રીત, જેહ એણે કરી છે એટલી ।।૭।। આપણારે અપરાધનો, બાઈ પાર ન આવે પેખતાં । તેમ મોટપ જોતાં મહારાજની, કાંઈ લેખું ન આવે લેખતાં ।।૮।। એમ મળી વળી અબળા, અવગુણ પરઠે આપણા ।  અહો બાઈ કહીએ કેટલા, ગિરાએ ગુણ ગોવિંદતણા ।।૯।। બાઈ સાંભળતા હશે શ્યામને, સર્વેગુણ ગોપીજન તણા ।  નિષ્કુલાનંદના નાથ સાથે, રાખી નથી કોઈ રીતે મણા ।।૧૦।। કડવું ।।૨૨।। read more
0 Views : 136

સ્નેહગીતા કડવું:- ર૩

બાઈ આપણશું એણે અતિશય હેત કર્યુંજી, ગોપી ને ગોવાળ હેતે સ્વધામ પરહર્યુંજી । મેલી માન મોટપને મનુષ્યનુંદેહ ધર્યુંજી, જોને બાઈ એનું આપણથકી શું સર્યુંજી ।।૧।। ઢાળ – સર્યું નહિ કાંઈ શ્યામનું, આપણ માંયથી એક રતિ । કેવળ હેત એક કર્યું એણે, આપણે ન જાણ્યું મૂઢમતિ ।।૨।। બાઈ ભવ બ્રહ્મા જેને ભજે, વળી નેતિનેતિ નિગમ કહે । તેહને જાણ્યા જાર જુવતી, બીજું અજ્ઞ આપણથી કોણ છહે ।।૩।। બાઈ ઈન્દ્ર આદિ અમર સર્વે, જેની અહોનિશ આજ્ઞા કરે । વળી શશિ સહિત સૂર્ય સદા, જેના વચનમાં ફેરા ફરે ।।૪।। સરસ્વતી કહે ઊત્તમ ર્કીિત જેની, વળી નારદ ગુણ જેના ગાયછે ।  સહસ્રફણીમાં જુગલ જીભે, શેષ સમરે જેને સદાય છે ।।૫।। સર્વે સુખનું એહ સદન સજની, અને પ્રીતનો વળી પુંજછે । પૂરણકામ ને ઠામ ઠર્યાનું, વળી ઓછપ એહમાં શું જ છે ।।૬।। જેમ નદી સર ને કૂપ વાપી, ભરપુર જો હોયે ભરી ।   પણ વારિધિ કોય વારિવડે, સુખ ન માને સુંદરી ।।૭।। તેમ સુખ સરવે સજની, રહ્યાં અલબેલાને આશરી ।  એવા જાણીને જુવતી, રતિ કૃષ્ણ સાથે નવ કરી ।।૮।। જેમ મૂરખને કોઈ મિરાંથ મળે, પારસ કે ચતામણી ।  શિલાસમ તેનું સુખ સમઝે, જેને બાળક બુદ્ધિ છે ઘણી ।।૯।। એમ થયું બાઈ આપણે, ઓળખી ન શકયાં એહને।  નિષ્કુલાનંદને નાથે સજની, તેહ સારૂંદીધોછે છેહને ।।૧૦।। કડવું ।।૨૩।। read more
0 Views : 138
Powered By Indic IME