સુખમય મૂર્તિ જોઈ જન ગોપીજી, રહી હરિ ચરણે તન મન સાપીજી। અંતરની વૃત્તિ હરિમાં આરોપીજી, લોક કુટુંબની લજજા જેણે લોપીજી ।।૧।। ઢાળ – લોપી લજજા જેણે લોકની, અને સ્નેહવશ થઈ સુંદરી । સોબત કીધી શિશ સાટે, એવી અચળ પ્રીત હરિશું કરી ।।૨।। હરતાં ફરતાં કામ કરતાં, કૃષ્ણ કૃષ્ણ કરે કામિની, પ્રીત વશ થઇ પ્રમદા, જાતિ જાણે નહિ દિન જામની ।।૩।। ખાતાં પીતાં બોલતાં, વળી સ્નેહમાં શુદ્ધ વિસરી । સૂતાંસૂતાં જાગે ઝબકી, ઊઠે કૃષ્ણકૃષ્ણ મુખે કરી ।।૪।। વાટે ઘાટે વન જાતાં, મન તન મોહનશું મળ્યું । લોક લાજ વેદવિધિ વિસરી, વળી ભાન તનનું તે ટળ્યું ।।૫।। વળી શ્રવણમાં ભણકાર સુણે, જાણે નયણે નિરખું છું નાથજી । મુખવાંણે વળી એમ જાણે, વાત કરૂં છું વાલા સાથજી ।।૬।। અંગોઅંગે એમ ગોપી, પરિપૂર્ણ થઇ પ્રીતમાં । સાધન તે હવે શું કરે, જેને કૃષ્ણ વિના ના’વે બીજું ચિત્તમાં ।।૭।। મરજાદા મેલી થઇ ઘેલી, ઊન્મત્તદશા આવી અંગે । તેણે કરી તન ત્રાસ ટળ્યો, મળ્યો પ્રાણ કૃષ્ણને સંગે ।।૮।। આપ ગળ્યું મન મળ્યું, ટળ્યું કાયા કલેશનું કરવું । એક સ્નેહ માંહિ સર્વે આવ્યું, અન્ય ન રહ્યું આચરવું ।।૯।। પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ, તેતો શિખવ્યું આવે નહિ। નિષ્કુલાનંદ નાવે કહિએ, સ્નેહી જનનો સ્નેહ સહિ ।।૧૦।। કડવું ।।૩।।
read more