Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૬ હરિબળગીતા
Per Page :

હરિબળગીતા કડવું:- ૩૪

એમ વિચાર કરવો નરને ઘણોજી, શુભ ગુણ સર્વે શ્રીહરિતણોજી । ગુણસાગર ગોવિંદને ગણોજી, એ સમ નહિ ગુણ આપણોજી ।।૧।। ઢાળ- આપણા ગુણને ગણતાં, અતિશય અનાદર થાય । અર્થ એકે સરે નહિ, જાણો જરૂર લજજા જાય ।।ર।। પો’ચ્ય ન હોય પોતા પાસળે, વળી કરે વડાઈની વારતા । કામ પડે કેમ કરશું, એમ નથી વિચારતા ।।૩।। જેમ દામ વિનાની હામ હૈયે, કરે કોઈ સુખકારણે । તેતો પાંગુલું ચાલવા પણ લીધું, વિના વાહન બારણે ।।૪।। માટે મોટપ ન માનવી, ગુણ પરના પામીને । દીન આધીન વરતવું, સૌ સંતને શિશ નામીને ।।પ।। અલ્પ ગુણના અભિમાનમાં, અપરાધ થાય શુદ્ધ સંતનું । પામવાનું સુખ રહે પાછળે, આવે દુઃખ અત્યંતનું ।।૬।। માટે વિચારી વરતવું, ઘણું ઘણું ગરજુ થઈ । અલમસ્તી ન દેવી આવવા, બેગરજુ થાવું નઈ ।।૭।। આવી વાતને અંતરે, રાખશે જન રૂડી રીતશું । નિષ્કુલાનંદ તે ઉપરે, પ્રસન્ન થાશે પ્રભુ પ્રીતશું ।।૮।। કડવું ।।૩૪।। read more
0 Views : 97

હરિબળગીતા કડવું:- ૩પ

આપણા ગુણમાં અવિદ્યા રહીજી,અતિશય ઝીણી ઓળખાય નહિજી। સ્વભાવ સરિખી રહી છે થઈજી, તેણે મુઝવ્યા મોટા મોટા કંઈજી ।।૧।। ઢાળ- મોટા મોટા કંઈ મુઝવ્યા, મનાવી ગુણનું માન । અંતરમાંઈ બેઠી અજા, તે જોરે કરે છે જયાન ।।ર।। કવિમાં થઈ કવિરૂપે, ગાયકમાં ગાયક થઈ । પંડિતમાં પંડિતરૂપે, તેને કેણે કળી નઈ ।।૩।। દીનમાં થઈ દીનરૂપે, થઈ દાતારમાંહિ દાતાર । જોગી જતિ તપસી સંન્યાસી, વર્ણાશ્રમરૂપે અપાર ।।૪।। ભૂપમાં થઈ ભૂપરૂપે, ધનવાનમાં ધનવાન । ઉચ્ચ નીચ નરનારમાં, જયાં જેવું અભિમાન ।।પ।। આપાપર ને ચર અચર, સૌને અંતરે વસી અજા । પર પોતાનાં પરઠી, કરે છે બેઠી કજા ।।૬।। આવ્યો ગુણ જે આપમાં, તેનું બળ લઈ બોલે ઘણું । એમ અવિદ્યાયે ફેરવ્યું, શિશ તે સૌ જનતણું ।।૭।। ભૂલ્યા દિશ ભગવાનની, લીધી આપણા ગુણની ઓટ । નિષ્કુલાનંદ એ નરને, ખરા ખરી ગઈ છે ખોટ ।।૮।। કડવું ।।૩પ।। read more
0 Views : 133

હરિબળગીતા કડવું:- ૩૬

એહ અવિદ્યા લેવી ઓળખીજી, વણ સમઝે ન થવાય સુખીજી । જાણ્યા વિના જન થાય છે દુઃખીજી, શાંતિ ન વળે સમજયા ૫પખીજી ।।૧।। ઢાળ- સમઝયા વિના શાંતિ સહી, રહે અંતરે અતિ ઉદ્વેગ । પ્રિછવા ન દિયે પાધરૂં, ભીતરમાં માયાનો ભેગ ।।ર।। દિયે ઉપદેશ દિવસ રજની, તું દેહ દેહછો તું દેહ । તેહ વિના રૂપ તાહરૂં, નથી બીજું કહું તેહ ।।૩।। બાળ જોબન વળી વૃદ્ધ તું, તું છો શ્યામ ગૌર શરીર । રોગી અરોગી તું સુખી દુઃખી, કાયર તું શૂરવીર ।।૪।। તું ઉત્તમ મધ્યમ તું, ડાહ્યો ભોળો તું દાસ અદાસ । એમ મનાવ્યું અંતરે, કરી હૈયામાંઈ વાસ ।।પ।। અવિદ્યાયે એમ દૃઢાવ્યું, ઉરમાંઈ અનેક પ્રકાર । તેમજ માની તનમાં, સહુ વર્તે છે સંસાર ।।૬।। પણ ઉંડું વિચારી અંતરે, કેણે ખરી ન કરી ખોળ । જેમ છે તેમ જાણ્યા વિના, સહુ કરે છે ડામાડોળ ।।૭।। સાચી વાત નથી સૂઝતી,નથીકરતા તેનો તપાસ । નિષ્કુલાનંદ નિર્બળ થઈ, પડિયા માયાને પાશ।।૮।।કડવું ।।૩૬।। read more
0 Views : 128

હરિબળગીતા પદ:- ૯

રાગ:-  મારૂ સમજયા વિનારે સંતાપ, શમે નહિ સમજયા વિનારે સંતાપ । સહુ વિચારો અંતરે આપ; શમે૦ । ટેક – આતમાને એકે નહિરે, નાત જાત માઈ બાપ । એતો સંબંધી શરીરનાંરે, પ્રિછી પરહરિયે પરિતાપ; શમે૦ ।।૧।। માનિનતા મેલ ઉતારિયેરે, તો ખરી છે નિર્મળ ખાપ । આડય ન કરે આંખ્યનેરે, થાય ઠીકો ઠીક જ થાપ; શમે૦ ।।ર।। હીરા જડાવિયે આંખ્યનેરે, પૂર્ણ વડગે એ પાપ । રંગ ચડયે પોત પલટેરે, સહુ છેતરાય દેખી છાપ; શમે૦ ।।૩।। એમ આત્માથી અડગો રહીરે, શરીરરૂપી પાળ્યો સાપ । નિષ્કુલાનંદ એ નરસું થયુંરે, ગયું તેજ રહ્યું તમ વ્યાપ; શમે૦ ।।૪।। પદ ।।૯।। read more
0 Views : 122

હરિબળગીતા કડવું:- ૩૭

એમ સમઝે છે સંત સુજાણજી, બીજા કરે છે બહુ ખેંચાતાણજી । આપાપરને પરઠી પ્રમાણજી, હેતુ વિના સહુ થાય હેરાણજી ।।૧।। ઢાળ- હેરાણ થાયછે હેતુ વિના, તેતો અણસમઝણ આપણી । જેમ એરણ લુહારની, પર તાપે તે પીડા તાપની ।।ર।। જેમ અંબર સુંદર ઓઢીયે, તે હોય કુચ્યની કંડુવે ભરું । અળગું ન કરીએ અંગથી, તો દુઃખનું નાવે સરૂં ।।૩।। જેમ માથે મેષનો મોટલો, કોઈ ઉપાડે કોયલા તણો । ખપ ન આવે ખાધાતણો, લાગે ડાઘ લુગડે ઘણો ।।૪।। મેલે તો મેલાય ખરા, ગુણ અવગુણ બેઉ બોજ । અણસમઝે ઉપાડી ફરે, ખરી કર્યા વિના ખોજ ।।પ।। જેમ તરવું ઉંડા તોયને, માથે હીરા પથરા મોટછે । તેમ ગુણ અવગુણ જકતના, ખરા દેનારા ખોટ છે ।।૬।। હરિભકતને હૈયામાંઈ, વિચારવું તે વારમવાર । વો’રવાં નહિ વિષ વ્યાળ વિંછી, એછે દુઃખના દેનાર ।।૭।। જેજે વળગે આ જીવને, થાય અટપટું કરતાં અળગે । નિષ્કુલાનંદ આ જકતઉપાધિ, વણ વળગાડી વળગે ।।૮।। કડવું ।।૩૭।। read more
0 Views : 131

હરિબળગીતા કડવું:- ૩૮

કેનેક બળ અન્ન ધન રાજયતણુંજી, કેનેક બળ વળી વિદ્યાનું ઘણુંજી । કેનેક બળ દેહ દેખી આપણુંજી, એહ માંયેલું બળ નથી મારે અણુંજી ।।૧।। ઢાળ- અણું નથી એહ માંહેલું, બળ બીજાનું વળી માહરે । સમર્થ સહજાનંદજી, હું તો શરણ છઉં તાહરે ।।ર।। આકરી વેળામાં આવજો, પ્રભુજી તમે મારી પાસ । ખરી વેળામાં ન ખસવું, હરિ જાણી પોતાનો દાસ ।।૩।। વસમી વેળાએ વાલમાં, વળી વળી કરજો વા’રને। સંકટમાં શ્રીહરિ સ્વામી, શ્યામળા કરજો સારને ।।૪।। અંતવેળા છે વસમી, એમ વદેછે વેદ પુરાણ । તેહ સમે તમે તરત આવી, સાર લેજો શ્યામ સુજાણ ।।પ।। ઉઠે દેવતા અંગના, એક દંડો ચાલે વળી શ્વાસ । તેહ સમે તમે સંભાળજો, મારા અલબેલા અવિનાશ ।।૬।। માગું છું એહ મહાપ્રભુ, દુઃખ ફોજ કરજો દૂર । વ્યાધિમાં વ્યાકુળ વેળા, શ્રીહરિરે’જો હજૂર ।।૭।। છેલ્લી ભલામણ એજ છે, કરજો વસમી વેળાએ વાર । વારમવાર વિનતિ કરી, કહે નિષ્કુલાનંદ નિરધાર ।।૮।। કડવું ।।૩૮।। read more
0 Views : 120

હરિબળગીતા કડવું:- ૩૯

કઠણ વેળા અતિ અંતની કે’વાયજી, મહાશૂરવીરે પણ ન સે’વાયજી । એહ દુઃખને ઉપમા ન દે’વાયજી, તે સમે ધીરજ કેણેક ગ્રહેવાયજી ।।૧।। ઢાળ- ગ્રહેવાય નહિ ઘણા દુઃખમાં, ધીરજ મોટા ધીરથી । રોમરોમે વિંછી વેદના પ્રગટે, જયારે ચાલવું થાય શરીરથી ।।ર।। તેહ સમામાં કોણ કેનું, જયારે પરવશ પ્રાણી પડે । સ્વાર્થ લઈ સહુ સહુનો, સગા સંબંધી સર્વે રડે ।।૩।। તેહ સમે શ્રીહરિ સ્વામી, વા’લા મ કરજો વેલ । આધાર મારા આવજો, ઉતાવળા અલબેલ ।।૪।। મોટેમોટે એહ માગિયું, કરજો વસમી વેળાએ વા’ર । તેહ સુણીને શ્યામળા, પ્રભુ કરૂં છું પોકાર ।।પ।। ઘણા હેતુ છો ઘનશ્યામજી, સુખદ સાચા સનેહ । તમ વિના ત્રિલોકમાં, નથી સા’ય કરવા એહ ।।૬।। એહ સમો જો સુધર્યો, તો સુધર્યું સર્વે ઘણું । એહ સમો જો બગડયો, તો શું ઉપજયું શુભ ગુણતણું ।।૭।। તેહ માટે તમ પાસળે, માગું છું હું મહારાજ । નિષ્કુલાનંદ કહે નાથજી, એહ સમે રાખજો લાજ ।।૮।। કડવું ।।૩૯।। read more
0 Views : 106

હરિબળગીતા કડવું:- ૪૦

લાજ મારી છે હરી તમારે હાથજી, મુજ અનાથના તમે છો નાથજી । સંકટમાંહી સ્વામી રે’જો સાથજી, એટલી સુણજો ગરીબની ગાથજી ।।૧।। ઢાળ- ગાથ સુણી ગરીબની, ગુણનિધિ ગ્રે’જો બાંય । મ જોશો અવગુણ માહેરા, શ્રીહરી કરજો સા’ય ।।ર।। અધમ ઉદ્ધારણ પતિતપાવન, દીનબંધુ છો દયાળ । જોઈ બિરૂદ સામું શ્યામળા, સુખદાયિ લેજો સંભાળ ।।૩।। ઘણા ગુન્હા ઘનશ્યામજી, તમે બક્ષ્યા આગે આશ્રિતના । તેમ ગુન્હા ગોવિંદ મારા, બક્ષજો બહુ રીતના ।।૪।। તમારાને તમ વિના, નથી અન્ય કોઈ આધાર । તે જાણો છો જગદીશ તમે, શું કહું હું વારમવાર ।।પ।। જેના જે આશ્રિત છે, પ્રભુ તેની છે તેને લાજ । તેહ વિના ત્રિલોકમાં, એનું કોણ હેતુ મહારાજ ।।૬।। તેહસારૂં હરિ તમને, વળી વળી વિનતિ કરૂં । અવર બીજા ઉપાયથી, નથી આવતું દુઃખનું સરૂં ।।૭।। જે કે’વાનું હતું તે મેં કહ્યું, હરિકૃષ્ણ જોડી જુગહાથ । દીનબંધુ દીલ ધારજો, નિષ્કુલાનંદના નાથ ।।૮।।કડવું ।।૪૦।। read more
0 Views : 118
Powered By Indic IME