રાગ:- ધન્યાસરી ખરાખરી ભક્તિમાં ખોટ ન આવેજી, સહુ જનને મને સુખ ઉ પજાવેજી । ભગવાનને પણ એવી ભક્તિ ભાવેજી, જે ભક્તિને શિવ બ્રહ્મા સરાવેજી ।।૧।। રાગ :- ઢાળ સરાવે શિવ બ્રહ્મા ભક્તિ, ભલી ભાતે ગુણ ગાય ઘણા । તે ભક્તિ જાણો પ્રગટની, કરતાં કાંઇ રહે નહિ મણા ।।૨।। જેહ ભક્તિમાં જાણજો, કપટ કાંઇ ચાલે નહિ । સદા પ્રભુને પેખે પાસળે, તે મોકળે મને મા’લે નહિ ।।૩।। દૂર હરિને નહિ દેખતાં, સદા સમીપે દેખેછે શ્યામ । તેનું ચિત્ત ચોરી કરી કેમ શકે, ન કરે ન કર્યાનું કામ ।।૪।। જાણે પગે ભરૂંછું જે પગલાં, કરે કરૂંછું જેહ કામ । રસનાનું જાણે રસ રવનું, જાણે શ્રવણે સૂણું તે શ્યામ ।।૫।। નયણે રૂપ જે નિરખું, ચરમે લિયું જે સ્પર્શ રસ । નાસે જેહ વાસ લિયું, નથી એથી અજાણ્યું અવશ્ય ।।૬।। એમ પેખે પ્રભુને પાસળે, તે ભવભૂલવણીમાં ભૂલે નહિ । સદા દેખે સમીપે શ્યામને, સાચા ભક્ત તે સમઝો સહિ ।।૭।। એવા જન જગદીશને, માનો મળવા મોંઘા ઘણું । સર્વે શાસ્ત્રમાંહી સૂચવ્યું, માહાત્મ્ય એવા ભક્તતણું ।।૮।। જેહ ભક્તને વા’લા ભગવાનછે, તેહ ભક્ત વા’લા છે ભગવાનને । પણ ભક્ત નામે રખે ભૂલતા, એતો ગાયાછે ગુણવાનને ।।૯।। ભાગ્ય હોય તો એવા ભક્તની, ભેટ્ય થાય ભવમાંઇ । નિષ્કુલાનંદ તો નરને, કરવું રહે નહિ કાંઇ ।।૧૦।। કડવું ।।૨૭।।
read more