રાગ : કેદારો પ્રભાતી પદ-૧ ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે; કોટિ રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિષે નાથ ભાસે… ધ્યાન૦ ૧ શિર પર પુષ્પનો મુગટ સોહામણો, શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે, પુષ્પના હારની પંક્તિ શોભે ગળે, નીરખતાં ભક્તનાં મન લોભે… ધ્યાન૦ ૨ પચરંગી પુષ્પના કંકણ કર વિષે, બાંયે બાજુબંધ પુષ્પ કેરા, ચરણમાં શ્યામને નેપુર પુષ્પના, લલિત ત્રિભંગી શોભે ઘણેરા… ધ્યાન૦ ૩ અંગોઅંગ પુષ્પનાં આભરણ પહેરીને, દાસ પર મહેરની દૃષ્ટિ કરતાં , કહે છે મુક્તાનંદ ભજ દૃઢ ભાવશું, સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા..ધ્યાન૦ પદ-૨ પ્રીત કર પ્રીત કર પ્રગટ પરબ્રહ્મ શું, પર હર અવર પંપાળ પ્રાણી, પરોક્ષથી ભવ તણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્ય વાણી..પ્રીત૦ ૧ કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે, પાસે જઈ પ્રીત શું સેવે જ્યારે, તેમ જે પ્રગટ પુરુષોત્તમ પ્રીછશે, થાશે હરિજન તત્કાળ ત્યારે… પ્રીત૦ ૨ પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુનિકા કપિવૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી…પ્રીત૦ ૩ શ્રી નારાયણ સ્વામીને પરહરી, જાર ભજનાર સર્વે ખ્વાર થાશે, કહે છે મુક્તાનંદ પ્રગટ ભજ પ્રાણીયા, અઘતણા ઓઘ તત્કાળ જાશે…પ્રીત૦ ૪ પદ-૩ રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયેં, સંતને શયન તજી ભજન કરવું, સ્વામિનારાયણ નામ ઉચ્ચારવું, પ્રગટ પરબ્રહ્મનું ધ્યાન ધરવું… રાત૦ ૧ […]
read more