પૂર્વછાયો :- હે નરપતિ હું હવે કહું, હરિના વિચરણની વાત; ચાલ્યા પ્રભુ વટ વૃક્ષથી, થયું પ્રગટ જયારે પ્રભાત.1 ચોપાઈ :- જયારે વિચર્યા વને મહારાજ, ત્યારે હરખિયો સુરનો સમાજ; પ્રભુ તીર્થોને પાવન કરશે, સઉ અસુર તણો મદ હરશે.2 વેદધર્મનો કરશે પ્રકાશ, થશે દેવોનાં સંકટ નાશ; સર્વ દુષ્ટનો કરશે સંહાર, ભૂમિકેરો ઉતારશે ભાર.3 પ્રભુ ચાલ્યા જયાં કરવા પ્રવાસ, સર્વે અસુરને ઉપજિયો ત્રાસ; થઇ પૃથવી તો મનમાં પ્રસન્ન, મને પદ રજે કરશે પાવન.4 તીર્થ લાગ્યાં હરખ મન ધરવા, પ્રભુ આવશે પાવન કરવા; મન નિશ્ચે કરે શેષનાગ, મારાં પ્રગટિયાં પૂરણ ભાગ્ય.5 જે મેં પૃથ્વી ધારી છે શીશ, તેના ઉપર ફરશે મુનીશ; પૃથ્વી કરશે ચરણરજરૂપ, સદા તે શિર ધરીશ અનૂપ.6 વસે નભમાં જે સૂરજ ચંદ, એને ઉપજયો વિશેષ આનંદ; પ્રભુ પોઢતા મંદિરમાંય, ત્યારે નવ થતાં દર્શન ત્યાંય.7 વન વિચરશે વસ્તિને ત્યાગી, તેથી દર્શનની આડ ભાંગી; હવે સાંભળો નૃપ ચિત્ત ધારી, ચાલ્યા જાય છે વનમાં મુરારી.8 જવા ઇચ્છા હિમાચળ ભણી, વાટ લીધી ઉત્તર દિશ તણી; જે જે મારગે શ્યામ પધારે, રસ્તો તે આવી પવન સુધારે. 9 વળી મેઘ કરે છંટકાવ, ભલો પ્રભુપદમાં ધરી ભાવ; વળી મંદ સુગંધ ને શીત, એવો વાયુ વહે હરિ હીત.10 જયારે સૂરજનો તાપ તપે છે, શિર છાયા ત્યાં મેઘ કરે છે; જયારે વાદળાં નભમાં છવાય, ત્યારે દર્શન રવિને ન થાય.11 શોષે મેઘનું […]
read more