પૂર્વછાયો :- વર્ણી કહે નૃપ સાંભળો, રતાબસિયાનું કહું આખ્યાન; જે સુણતાં સમજાય છે, કેવા સમરથ શ્રીભગવાન.1 ધર્મતનુજ નરતન ધરી, વન વિચરતા વિખ્યાત; આદિકુરમ જયાં તીર્થ છે, ત્યાં આવ્યા પ્રભુ સાક્ષાત.2 ચોપાઈ :- ત્યાંથી માનસપુર ગયા લાલ, સત્રધર્મા છે ત્યાંનો ભૂપાળ; તેની ઊપર ઉર દયા લાવી, તેને સદ્ય સમાધિ કરાવી.3 એને દેખાડ્યું અક્ષરધામ, કર્યો આશ્રિત સુંદરશામ; નૃપદ્વારે વળી તેહ ઠાર, કર્યો અસુર ઘણાનો સંહાર.4 ગયા શ્રીહરિ તૈલંગદેશ, કર્યો ત્રિપદીપુરમાં પ્રવેશ; ત્યાં તો હળ ને મુશળ ધરનાર, દીઠી બાલાજીની છબી સાર.5 તેનાં આદરે દર્શન કરી, વેંકટાદ્રિ વિષે ગયા હરી; વળી ત્યાં થકી વાલો વિચરતા, એક ઝાડી વિષે ગયા ફરતા.6 તેમાં ભૂલા પડ્યા ભયહારી, કર્યું મનુષ્યચરિત્ર મુરારી; આવી ભૂમિ ભયંકર છેક, સુતો દીઠો ત્યાં રાક્ષસ એક.7 તેના મસ્તકમાં લાત મારી, ત્યારે ઉભો થયો તે ખુંખારી; હતો ક્રોધી વિરોધી તે ઘણો, પદસ્પર્શ થયો પ્રભુ તણો.8 વળી હરિની ઇચ્છા બળવાન, પૂર્વભવનું થયું તેને જ્ઞાન; પુરુષોત્તમ પ્રભુને પિછાણ્યા, જગદીશ્વર સાક્ષાત્ જાણ્યા.9 કર્યો પ્રેમથી દંડપ્રણામ, સ્તુતિ ઉચ્ચારી ઉચ્ચર્યો આમ; કૃપાનાથ તમે કૃપા કરી, મને આવી મળ્યા આજ હરી.10 સ્વામી છો સર્વજ્ઞ સુજાણ, તોય આપું મારી ઓળખાણ; પૂર્વજન્મે હતો હું નરેશ, પ્રીતે પાળતો તૈલંગદેશ.11 એવે અવસરે બે દ્વિજ લડિયા, ન્યાય લેવા રાજદ્વાર ચડિયા; તેમાં એકનું જયદેવ નામ, કન્યા કુંવારી તેહને ધામ.12 બીજો નામે મુકુંદદેવ સારો, તેને એકજ પુત્ર […]
read more