પૂર્વછાયો- હવે હિંદુસ્તાનના, વળી લખું પરચા જેહ । સામર્થી શ્રીમહારાજની, સાંભળજયો કહું તેહ ।।૧।। ધન્યધન્ય ધુવા ગામમાં, હરિજન જાતિ લુવાર । ભલા ભક્ત ભગવાનના, જેને હૈયે હેત અપાર ।।૨।। એક બિંદા નામે જન જાણો, ભજે હરિ કરી ભાવ । તેની કાકી કુસંગણી, દલમાંહિ દુષ્ટ સ્વભાવ ।।૩।। કરે ખેચરી નિત્ય ખરી, જેને હરિસંગાથે વેર । સતસંગી જાણી રીશ આણી, વાણી વદે જેવી ઝેર ।।૪।। ચોપાઇ- બોલે અવળું ને નાખેછે આળ્યું, દિયે વણ વાંકે નિત્ય ગાળ્યું । સુતાંબેઠાં જાગતાં એ જાપ, ખાતાં પીતાં વઢે નિત્ય આપ ।।૫।। કહે બિંદો તે બગડી ગયો, કરી સતસંગ સ્વામીનો થયો । એવું સહજાનંદમાં શું ભાળ્યું, એમ કહી કહી દીયે ગાળ્યું ।।૬।। શ્વાસઉશ્વાસે એજ સ્મરણ, ભૂલી નહિ જયાં લગી આવ્યું મરણ । ત્રુટી નાડીયો પીડાણા પ્રાણ, આવ્યા લેવા દિઠા જમરાણ ।।૭।। અતિ કાળા રિસાળા વિક્રાળ, ક્રોધવાળા કરુર કોપાળ । એવા દિઠા જમદૂત જયારે, દેવીદેવને સંભાર્યા ત્યારે ।।૮।। વળી સેવ્યા હતા ભેખધારી, તેહ સર્વેને જોયા સંભારી । પણ કેણે કરી નહિ સાય, ડોશી પડી મહા દુઃખમાંય ।।૯।। મારોમારો કરે જમરાણ, ડારે ડોશી થઇ છે હેરાણ । પછી તે સમે સ્વામી સંભાર્યા, લીધું નામ જમ સુણી ડર્યા ।।૧૦।। ત્યારે ડોશીએ વારમવાર, કર્યો સ્વામિનામનો ઉચ્ચાર । આવ્યા અલબેલો એહ વાર, પોતા સાથે સખા અસવાર ।।૧૧।। આપે બેઠા છે રથ અનુપે, […]
read more