આવા સાધુનો ગુણ લે તે બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામેને અવગુણ લે તે ઘટી જાય, ને જડ થઇ જાય. ને મહારાજ કહે,‘ચોસઠ લક્ષણે યુકત એવા સાધુ તેનાં દર્શન એમ પણ કરવા ઇચ્છીએ’ ત્યારે જો ભગવાન પણ તેનાં દર્શન કરવા ઇચ્છે તો બીજાની શી વાત કહેવી ! તેવા સાધુ આપણને મળ્યા, તેનું આપણને ઓહોહો નથી થાતું. “સાચે સંત મીલે કમી કાહુ રહી, સાચી શીખવે રામકી રીતકુંજી ” એવા, ને કહે કે – તિન તાપકી ઝાલ જર્યો પ્રાણી કોઇ આવે; તાકું શીતલ કરત તુરત દિલ દાહ બુઝાવે. એવા, ને સાધવો હૃદયં મમ એમ કહ્યું છે. તેવા સાધુનો સમાગમ કરવો. હવે એવા સાધુ ને મહારાજ એ તો ઓળખાણા,પણ વિષયમાં રાગ રહી જાય છે એ વાતની ખોટ છે. તે ભગવાન પોતાના ધામમાં લઇ તો જાય, પણ એ વાસના રહેવા દેશે નહિ. હજાર કલ્પ સુધી રહીને પણ પાછું પડાશે, પછી પાછા ગર્ભવાસ,ચોરાશી, તાવ એ દુઃખ એના એ જ, માટે હમણાં જ ચોખ્ખું કરવું. જેમ હજાર કૂતરાં, મીંદડાં, ઊંટિયાં એ સડી ગયેલ પડ્યાં હોય, તે જેવાં ભૂંડાં લાગે તેવા વિષય લાગે ત્યારે થાય; તે સારુ આત્મનિષ્ઠા શીખવી. ।।૧૨૩।।
read more