જુવો હરિભકત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જોઈ અકળાણો ઇન્દ્રજી ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જઈ કહી વાત મારું ગયું મંદરજી મારું તો ઘર ગયું, આજ કાલે લેશે અવધપતિ ।। એનું સત્યધર્મ નિ’મ જોઈને, હું તો અકળાણો અતિ ।। ૨ ।। એને દાને કરી ડોલિયું, મારું અચળ ઇન્દ્રાસન ।। માટે રાખો કહું મુજને, હું આવ્યો શરણે ભગવન ।। ૩ ।। ત્યારે વિષ્ણુ એમ બોલિયા, તું બેસ સ્થાનક તાહરે ।। નથી દેવું ઇન્દ્રાસન એને, એને રાખવો છે ધામ માહરે ।। ૪ ।। પછી તેને તાવવા સારુ, તેડાવ્યા વિશ્વામિત્રને ।। હરિશ્ચંદ્રને સત્યથી પાડો, પમાડો દુઃખ નિરંત્રને ।। ૫ ।। ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુને, એમાં લાગે મને અપરાધ ।। ત્યારે વિષ્ણુ કહે મારે વચને, નથી તમને કાંઈ બાધ ।। ૬ ।। જેણે વસિષ્ઠ સુત સો સંહાર્યા, એવા છે દિલના દયાળ ।। તેને એ કામ કઠણ નથી, ઊઠી ચાલિયા તતકાળ ।। ૭ ।। પરને પીડા પમાડવા, જેને અંતરે નથી અરેરાટ ।। સંકટ એ કેમ સહી શકશે, એવો નથી હૈયા માંહી ઘાટ ।। ૮ ।। મનમાં મે’ર મળે નહિ, વાણીએ વિપત્ય પાડે ઘણી ।। કાયાએ રૂડું તે કેમ કરે, ધારો વિચારો તેના ધણી ।।૯।। અવધપુરીએ આવિયા, હરિશ્ચંદ્ર રાયને ઘેર ।। નિષ્કુળાનંદ હરિશ્ચંદ્રે પછી, પૂજા કરી બહુ પેર ।।૧૦।।
read more