સંવત્ ૧૮૮૦ ના પોષ વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે સર્વે મુનિ મંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોઘ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો, તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહિ, અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો, તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઇ રાખશો તો તમારો પગ ટકશે નહિ, અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઇ જાતની વાસના તથા કોઇ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, પંચ પ્રાણ, ચાર અંત:કરણ, પંચભૂત, પંચવિષય, અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઇનો સંગ રહેવા દેવો નથી. ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઇને ભગવાનની ભકિત કરો એવા સર્વેને કરવા છે, પણ કોઇ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વે કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઇને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ […]
read more