સંવત્ ૧૮૮૫ના વૈશાખ શુદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ ચઢીને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને તે વાડીને મઘ્યે જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ર્ન કર્યો જે, “આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે જે જેને વિષે એ પ્રવર્તે તો એનું નિશ્વય કલ્યાણ થાય, ને તેમાં બીજાં કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહિ ? તે કહો તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે ? જે જેણે કરીને તેમાંથી નિશ્વય પડી જાય, તે પણ કહો,” પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો પણ એ પ્રશ્ર્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે, પુરૂષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેનાજ સર્વે અવતાર છે, એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જેતે ભાવે કરીને આશ્રય કરવો, ને ધર્મ સહિત તે ભગવાનની ભકિત કરવી, ને તેવી ભકિતએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો, એ કલ્યાણનું અસાધારણ સાધન છે. અને એમાં બીજાં કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતાં નથી અને એ સાધનને વિષે મોટું વિઘ્ન એ છે જે, શુષ્કવેદાંતિનો સંગ કરવો,’ અને જો એનો સંગ […]
read more