સંવત્ ૧૮૮૩ના ભાદરવા વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતા, ને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુનિમંડળને પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જે જેણે કરીને સદા સુખી રહેવાય ?” પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાયું તેવો તેણે ઉત્તર કર્યો, પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય, અને બીજો અતિશે દ્રઢ સ્વધર્મ હોય, અને જેણે એ બે સાધને કરીને સર્વે ઈન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યાં હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશે મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહિ, અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહિ, એવાં જે હરિભક્તનાં લક્ષણ હોય તે આ લોકને વિષે તથા પરલોકને વિષે સદાય સુખિયો રહે છે. અને […]
read more