વળી કહું વાત એક અનુપજી, ભકત એક રત્નપુરીનો ભૂપજી
નામ મયૂરધ્વજ સદાય સુખરૂપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન્ન તૂપજી
હોમે હવિષ્યાન્ન જગન કરે, ભલો ભકત સત્યવાદી સઈ ।।
ત્યાં શ્રીકૃષ્ણ અર્જુન આવિયા, વેષ વિપ્રનો લઈ ।। ૨ ।।
કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા, અર્જુન થયા તેના શિષ્ય ।।
યજ્ઞશાળામાં આવિયા, જયાં બેઠા હતા નરેશ ।। ૩ ।।
ત્યારે રાય ઊઠી ઊભા થયા, કર્યો દંડવત પ્રણામ ।।
ભલે પધાર્યા પ્રભુ મારા, માગો કાંઈક મન અતિ અભિરામ ।। ૪ ।।
ત્યારે બ્રાહ્મણ કહે ધન્યધન્ય રાજા, સત્યવાદી તું સાચો સહિ ।।
પણ મારે છે જે માગવું, તે તરત તને કે’વાય નહિ ।। ૫ ।।
ત્યારે નરેશ કહે નિઃશંક થઈ, માગો મનવાંછિત શંકા તજી ।।
રાજ સાજ સુખ સંપત્તિ, માગો વસ્તુ જે મન રજી ।। ૬ ।।
ત્યારે દ્વિજ કહે ધર્મપુરથી, હું પુત્ર પરણાવા ચાલિયો ।।
આવ્યા આ શહેરની સીમમાં, ત્યાં સુતને સિંહે ઝાલિયો ।। ૭ ।।
એક જ પુત્રને એમ થયું, ગયું મારું કુળ સમૂળું સહિ ।।
બૂઢાપણમાં બાળક બીજો, આવવાની આશા નહિ ।। ૮ ।।
હરખ હૈયે નવ રહ્યો, ગયો આનંદ સર્વે ઊચળી ।।
મારી ને મારા સુતની, વાઘ ન જાણે પીડા વળી ।।૯।।
ત્યારે મેં કહ્યું મેલ્ય પુત્ર મારો, એને સાટે ખાઈ જા મુજને ।।
ત્યારે વાઘ કહે નિષ્કુળાનંદનો, નાથ ભજય કહું તુજને ।।૧૦।।