(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ.
દોયલું થાવું હરિદાસ રે સંતો..દોયલું
જોઈએ તજવી તનસુખ આશ રે સંતો..દોયલું… ટેક
શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ હુલાસ;
પેટ કટારી મારી પગ પરઠે, તેને કેની રહી ત્રાસ રે સંતો ।। ૧ ।।
કાયર મનમાં કરે મનસૂબા, રે’શું ઊભા આસપાસ;
એમ કરતાં જો ચડી ગયા ચોંટે, તો તરત લેશું મુખે ઘાસ રે સંતો ।। ૨ ।।
શૂરા સંતની રીત એક સરખી, કરવો વેરીનો વિનાશ;
કામ ક્રોધ લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશ રે સંતો ।। ૩ ।।
એવા ભકત તે ભકત હરિના, તેહ સહે જગ ઉપહાસ;
નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, તેનો નાવે કે દી વિશ્વાસ રે સંતો ।। ૪ ।।