(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ.

દોયલું થાવું હરિદાસ રે સંતો..દોયલું

જોઈએ તજવી તનસુખ આશ રે સંતો..દોયલું… ટેક

શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ હુલાસ;

પેટ કટારી મારી પગ પરઠે, તેને કેની રહી ત્રાસ રે સંતો ।। ૧ ।।

કાયર મનમાં કરે મનસૂબા, રે’શું ઊભા આસપાસ;

એમ કરતાં જો ચડી ગયા ચોંટે, તો તરત લેશું મુખે ઘાસ રે સંતો ।। ૨ ।।

શૂરા સંતની રીત એક સરખી, કરવો વેરીનો વિનાશ;

કામ ક્રોધ લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશ રે સંતો ।। ૩ ।।

એવા ભકત તે ભકત હરિના, તેહ સહે જગ ઉપહાસ;

નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, તેનો નાવે કે દી વિશ્વાસ રે સંતો ।। ૪ ।।