રાગ:- ધન્યાસરી
ભક્તિ કરી હરિનાં સેવવાં ચરણજી, મનમાં માની મોટા સુખનાં કરણજી ।
તન મન ત્રિવિધ તાપનાં હરણજી, એવાં જાણી જન સદા રહે શરણજી ।।૧।।
રાગ :- ઢાળ
શરણે રહે સેવક થઇ, કેદિ અંતરે ન કરે અભાવ। જેમ વાયસ વાહણતણો, તેને નહિ આધાર વિના નાવ ।।૨।।
તેમ હરિજનને હરિચરણ વિના, નથી અન્ય બીજો આધાર । તે મૂકી ન શકે તને મને, જાણી ભારે સુખભંડાર ।।૩।।
જેમ પતિવ્રતા હોય પ્રમદા, તે પતિ વિના પુરૂષ પેખે નહિ । બીજા સોસો ગુણે કોઇ હોય સારા, તોય દોષિત જાણી દેખે નહિ ।।૪।।
તેમ ભક્ત ભગવાનના, પતિવ્રતાને પ્રમાણ। પ્રભુ વિના બીજું ન ભજે ભૂલ્યે, તે સાચા સંત સુજાણ ।।૫।।
જેમ બપૈયો બીજું બુંદ ન બોટે, સ્વાતિ વિના સુધાસમ હોય । પિયુપિયુ કરી પ્રાણ પરહરે, પણ પિયે નહિ અન્ય તોય ।।૬।।
તેમ જન જગદીશના, એક નેક ટેકવાળા કે’વાય । સ્વાતિ બિંદુસમ સ્વામીનાં વચન, સુણી ઉતારી લિયે ઉરમાંય ।।૭।।
જેમ ચકોરની ચક્ષુ ચંદ્ર વિના, નવ લોભાય ક્યાંહી લગાર । તેમ હરિજન હરિ મૂર્તિ વિના, અવર જાણે અંગાર ।।૮।।
એમ અનન્ય ભક્ત ભગવાનના, પ્રભુ વિના બીજે પ્રીતિ નઇ । મન વચન કર્મે કરી, શ્રીહરિના રહ્યા થઇ ।।૯।।
એવા ભક્તની ભક્તિ જાણો, વા’લી લાગે વા’લાને મન । નિષ્કુલાનંદ કહે નાથને, એવે જને કર્યા પ્રસન્ન ।।૧૦।। કડવું ।।૩૭।।