રાગ:- ધન્યાસરી
મન બુદ્ધિના માપમાં ના’વેજી, એવું અતિ સુખ હરિભક્તિથી આવેજી ।
જેહ સુખને શુકજી જેવા ગાવેજી, તે ભક્તિ પ્રભુ પ્રગટની કા’વેજી ।।૧।।
રાગ :- ઢાળ
ભક્તિ પ્રભુ પ્રગટની, જેજે કરીછે હરિજને । તે તેને પળ પાકીગઇ, સહુ વિચારી જુવો મને ।।૨।।
કુબજાએ કટોરો ભરી કરી, ચરચ્યું હરિને અંગે ચંદન । તેણે કરી તન ટેડાઇ ટળી, વળી પામી સુખસદન ।।૩।।
સઇ સુદામા માળીનું, સમાપર સરીગયું કામ । તે પ્રગટ પ્રભુને પૂજતાં, પામી ગયા હરિનું ધામ ।।૪।।
વિદુર ભાજીને ભોજને, જમાડિયા જગજીવન । તે જમી પ્રભુ પ્રસન્ન થયા, એવું પરોક્ષ શું સાધન ।।૫।।
સુદામે ભક્તે શ્રીહરિને, ત્રણ મૂઠી આપિયા તાંદુલ । તેણે દારિદ્ર દૂર ગયું, થયું અતિ સુખ અતુલ ।।૬।।
પંચાલિયે પાત્રમાંથી, શોધી જમાડીયા હરિ આપ । તેણે મટ્યું કષ્ટ મોટું અતિ, તેતો પ્રગટને પ્રતાપ ।।૭।।
વળી ચીર ચીરીને ચિંથરી, આપી હરિ કરે બાંધવા કાજ । તેણે કરીને દ્રૌપદીની, રૂડી રાખી હરિએ લાજ ।।૮।।
એમ પ્રગટના પ્રસંગથી, જેજે સર્યા ં જનનાં કામ । તેવું ન સરે તપાસિયું, મર કરે હૈયે કોઇ હામ ।।૯।।
વારેવારે કહ્યો વર્ણવી, અતિ ભારે ભક્તિમાંહી ભાર । નિષ્કુલાનંદ તે ભગતિ, પ્રભુ પ્રગટની નિરધાર ।।૧૦।। કડવું ।।૩૯।।