હંસધ્વજ સુત સુધનવા જેહજી, તેને અતિ શ્રીહરિમાં સનેહજી
દઢ હરિભકત અચળ વળી એહજી, અલ્પ દોષે આવ્યા તાતના ગુન્હામાં તેહજી
તેને તાતે તપાસ કઢાવી, નાખ્યો તપેલ તેલની માંઈ ।।
શ્રીહરિના સ્મરણ થકી, વળી કાયા ન બળી કાંઈ ।। ૨ ।।
ત્યારે કહે તેલ તપ્યું નથી, કાં તો ઔષધિ છે એહ પાસ ।।
તેલ પણ તપેલ ખરું, નહિ ઔષધિ કાઢ્યો તપાસ ।। ૩ ।।
ત્યારે કહે મંત્ર છે એના મુખમાં, તેનો અખંડ કરે છે ઉચ્ચાર ।।
તે મંત્ર તો શ્રીહરિ સ્મરણ, એણે નાવ્યો અંગે અજાર ।। ૪ ।।
સાચો ભકત શ્રીકૃષ્ણે જાણીને, કરી કષ્ટમાંયે એની સા’ય ।।
ખરી પળે નવ ખમી શકે, દુઃખ દાસનું મનમાંય ।। ૫ ।।
પળપળની પીડા હરવા, હરિ હરિજન પાસે રહે ।।
વણ વિશ્વાસી એહ વાતને, લેશમાત્ર પણ નવ લહે ।। ૬ ।।
રાત દિવસ રક્ષા કરે, નિજભકતની ભગવાન ।।
મીટે થકી તે મૂકે નહિ, નિશ્ચય નાથજી નિદાન ।। ૭ ।।
જનક જનની નિજ જનના, સાચા શ્રીહરિ કહેવાય ।।
એહ હેત જેવું કરે જીવને, તેવું બીજે કહો કેમ થાય ।। ૮ ।।
નક્કી ભકત સારુ નાથજી, અવનિયે રહે છે અખંડ ।।
દુર્મતિ તે દેખે નહિ, જેમ પડદા આડું પંડ ।।૯।।
પડદે રહીને પેખે હરિ, દેખે દાસની દઢતા ધીર ।।
નિષ્કુળાનંદ કહે કષ્ટ માંહી, કરે સહાય હરિ અચીર ।।૧૦।।