રાગઃ ઉપજાતિવૃત્ત

જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળી દેશે;
છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક.45

જો સ્વામિનારાયણ એકવાર, રટે બીજાં નામ રટ્યા હજાર;
જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ તેનું ? 46

ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ;
સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. 47

ગાયત્રીથી લક્ષ ગુણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ;
જયાં જયાં મહામુકત જનો વસાય, આ કાળમાં તો જપ એજ થાય. 48

જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ થાય;
તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. 49

તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાશી જાય;
શ્રીસ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુકિત લેશે. 50

ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવસિંધુ પાર;
છયે ૠતુમાં દિવસે નિશાયે, સર્વે ક્રિયામાં સમરો સદાયે. 51

પવિત્ર દેહે અપવિત્ર દેહે, તે નામ નિત્યે સ્મરવું સનેહે;
જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય.52

જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડ્યાં બ્રાહ્મણ ધેનું સંત;
તે સ્વામિનારાયણ નામ લેતાં, લાજી મરે છે મુખથી કહેતાં. 53

શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર;
પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહેજ તેનું ? 54

  • કળશ ૫, વિશ્રામ ૧૮