આવા સાધુને મનમાં સંભારીએ, તો મનનાં પાપ બળી જાય. ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો.
વાત-૩૦, પ્રકરણ-૧
આથી કરોડ ગણો સત્સંગ થાશે ને આથી કરોડ ગણાં મંદિર થાશે, પણ આ વાતું ને આ કથા નહિ મળે. ને વ્યવહાર પ્રધાન થઇ જાશે, માટે કથાવાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખવો.
વાત-૩૧, પ્રકરણ-૧
ભગવાનના ભકતમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે.
વાત-૩૨, પ્રકરણ-૧
પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે. ને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે. પ્રેમીનું તો ભગવાનને અને સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહિ.
વાત-૪૧, પ્રકરણ-૧
મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિ જીવને બગડવાના હેતું છે, માટે તે સમજી રાખવું.
વાત-૫૨
આવા સાધુ ખાસડાં મારે તોપણ અક્ષરધામમાં લઇ જાય, ને બીજા મશરુનાં ગાદલાંમાં સુવારી મૂકે, તોપણ નરકમાં નાખે એમ સમજવું.
વાત-૫૭, પ્રકરણ-૧ તમોગુણીને માન વધારે હોય, રજોગુણીને કામ વધારે હોય અને સત્વગુણીને જ્ઞાન વધારે હોય.
વાત-૬૨, પ્રકરણ-૧ શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઇને બોલ્યાં જે આવું અંત:કરણ થાય ત્યારે જીવ સુખિયો થાય, તેમ સત્સંગ કરતાં કરતાં થાય છે.
વાત-૬૭, પ્રકરણ-૧ નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઇ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે, તે કેને સુખ આવે ? તો જેને તેમાં હેત હોય તેને આવે.
વાત-૬૯, પ્રકરણ-૧ અને આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે, તે મહારાજ કહે, ‘ભૂત વળગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું ?’
વાત-૭૭, પ્રકરણ-૧