પાકા હરિભક્ત થયાનો તો એજ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઇને રહે અને એમ જાણે જે “એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું” એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઇ રહે.

  • ગઢડા પ્રથમનું ૫૮મું
  • પુરૂષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ-અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ અને અશુભ એ બે પ્રકારના પુરૂષ છે.

  • ગઢડા પ્રથમનું ૫૯મું
  • એકાંતિક ધર્મ તેતો જે એવો નિર્વાસનિક પુરૂષ હોય અને જેને ભગવાનને વિષે સ્થ‍િત‍િ થઇ હોય, તેને વચને કરીને જ પમાય પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો.

  • ગઢડા પ્રથમનું ૬૦મું
  • હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું.’ એવી આત્મનિષ્ઠા જ્યારે અતિશે દૃઢ થાય, ત્યારે કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ કોઇ રીતે કરીને ધીરજ ડગે નહિ.

  • ગઢડા પ્રથમનું ૬૧મું
  • જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઇએ જે ‘ભગવાન જેમ જેમ મને વધુ દુ:ખ દેશે, તેમ તેમ વધુ મારે વશ થશે, અને પલમાત્ર મારાથી છેટે નહિ રહે’ એવું સમજીને અતિ રાજી થવું. પણ કોઇ રીતે દુ:ખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહિ.

  • ગઢડા પ્રથમનું ૬૧
  • ભગવાનના ભક્ત હોય તેને અતિશે ગરીબપણું પકડવું, પણ કોઇનું અપમાન કરવું નહિ. કાં જે ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે ગરીબના અપમાનના કરનારાનું ભૂંડું કરી નાખે છે.

  • ગઢડા પ્રથમનું ૬૨મું
  • જેને આલોકના સુખમાં ઇચ્છા નથી એવા સત્પુરૂષને વિષે દેવની બુદ્ધિ રાખે, અને જે વચન કહે તે સત્ય માને, અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરૂષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે.

  • ગઢડા પ્રથમનું ૬૭મું
  • ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે, ‘મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહું છું.’ અને જે એ ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલાં ફેલફતુર કરે છે, પણ લેશમાત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્વય જ નથી.

  • ગઢડા પ્રથમનું ૬૮મું
  • તીખા સ્વભાવવાળાની તો કાંઇ ખોટ નથી, એવા તો ઘણાય હોય, પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે.

  • ગઢડા પ્રથમનું ૬૯મું
  • ભગવાને ગીતામાં કહ્યું છે જે, “જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે, ત્યાંજ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે” તેમ જેની કોરે આ સંત મંડળ છે, તેનો જ જય થશે. એમ નિશ્વય રાખવો.

  • ગઢડા પ્રથમનું ૭૦મું