દોહા :- મુમુક્ષુ કહે મુકતને, જયારે જમ એ પર કરે રોષ ।।

ત્યારે માયાગુરુને મર મારતા, પણ શિષ્યનો શિયો દોષ ।। ૧ ।।

કલ્યાણ કરવા કારણે, આવ્યો એવા ગુરુની પાસ ।।

તન મન ધન દઈ તેહને, થયા દિલ સાચે એના દાસ ।। ૨ ।।

ઓળખી ન શકયા અસત ગુરુ, સમજયા વિના થયા શિષ્ય ।।

અજાણ્યા ઉપર એવડી, રાખી ન ઘટે ધર્મને રીસ ।। ૩ ।।

એમ કહ્યું કર જોડીને, તમે સાંભળો મારા શ્યામ ।।

એ સંશય મારો સમાવિયે, સનેહી સુખના ધામ ।। ૪ ।।

ચોપાઈ :-

એવું સાંભળી મુકત મહાજન રે, પછી બોલિયા પરમ પાવન રે ।।

કહે સાંભળ્ય તું જિજ્ઞાસુ રે, ખરું પ્રશ્ન તેં પૂછિયું ખાસું રે ।। ૫ ।।

એનો ઉત્તર આપિયે અમે રે, સાવધાન થઈ સુણો તમે રે ।।

હોય જૂઠું સાચું બેઉ જોડ્યે રે, રાત દિવસ બે તડોવડ્યે રે ।। ૬ ।।

હોય બક તિયાં હંસ હોય રે, જયાં કાગ ત્યાં કોયલ શું નો’ય રે ।।

હોય ચોર તિયાં શાહુકાર રે, હોય રવિ ત્યાં રાકેશ ત્યાર રે ।। ૭ ।।

હોય પાપી ત્યાં પુણ્યવાન રે, હોય મૃત્યુ ત્યાં અમૃતપાન રે ।।

હોય સાચું ત્યાં ખોટું ખરું રે, તેનું કહેતાં કહેતાં નાવે સરું રે ।। ૮ ।।

તેમ સત્ય અસત્ય ગુરુ છે રે, તે પણ ખોટું મા માનો ખરું છે રે ।।

તે તો કહે છે વેદ પુરાણ રે, સત્ય અસત્યની ઓળખાણ રે ।। ૯ ।।

સતશાસ્ત્રનું એ જ સિદ્ધાંત રે, કપટી ગુરુ તે જ કૃતાંત રે ।।

જમપુરીના જમાન ખરા રે, જાવા ન દિયે જીવ અરાપરા રે ।।૧૦।।

ઝાલી આપશે જમને હાથ રે, માર્યો જાશે બિચારો અનાથ રે ।।

વણ ગુહ્ને ગુહ્નેગાર થાશે રે, વણવાંકે મોટો માર ખાશે રે ।।૧૧।।

પડશે દુઃખના દરિયા માંઈ રે, તેની નથી ખબર એને કાંઈ રે ।।

એમ સાચા સંત સહુ કે’છે રે, તોય શઠને શઠપણું રહે છે રે ।।૧૨।।

ત્યારે કે’તલનો શિયો વાંક રે, કહી કહી વાળ્યો આડો આંક રે ।।

તોય માન્યું નહિ જો મૂરખે રે, ખાધુ હળાહળ જઈ હરખે રે ।।૧૩।।

મેલી તરી તુંબડાં તરવા રે, બાંધ્યા કોટે પાણા બૂડી મરવા રે ।।

કરી હંસ મેના શુક ત્યાગ રે, સેવ્યા ઘુડ કપોત ને કાગ રે ।।૧૪।।

મેલી ગજ બાજ ગવા ગાય રે, વો’ર્યા વાઘ નાગ ને બલાય રે ।।

એમ અવળો કર્યો ઉદ્યમ રે, તેની ન પડી ગાફલને ગમ રે ।।૧૫।।

એવી અવળી અકલવાળા રે, તે તો કયાં થકી થાય સુખાળા રે ।।

મેલી સુખ લીધું દુઃખ માથે રે, પોતે પોતાનું બગાડ્યું હાથે રે ।।૧૬।।

નથી વાંક એમાં કેનો વળી રે, ખાધી મા’જમ મિસરી મેલી રે ।।

મૃત્યુમોદક અમૃત જાણી રે, પીધું સર્પલાળપય પાણી રે ।।૧૭।।

હોરે હેડ્યમાં પગ દેવાણો રે,વણ ચોરે તે ચોર કે’વાણો રે ।।

ભળ્યો ભરાડીમાં શાહુકાર રે, ધણી મળ્યે મળે વળી માર રે ।।૧૮।।

એમ અસત્ય ગુરુને આશરી રે, જીવ જાય છે તે જમપુરી રે ।।

તિયાં કષ્ટ પામે છે કુબુદ્ધિ રે, જેની અતિ સમજણ છે ઊંધી રે ।।૧૯।।

નથી સૂઝતું સાર અસાર રે, તેણે કરી ખાય જમમાર રે ।।

સાચી વાત સાંભળે છે કાને રે, તોય ચઢ્યો છે ખોટાને તાને રે ।।૨૦।।

ખોટા ગુરુના ખાધા છે ખતા રે, નથી છાના એ છે જગ છતા રે ।।

પંચ વિષય શું પોષણ કરી રે, લીધું અન્ન ધન આયુષ હરી રે ।।૨૧।।

ખરાખરો કીધો ગુરુએ ખાલી રે, પછી આપ્યો છે જમને ઝાલી રે ।।

એમ ચેલો ચાલ્યો જમ સાથે રે, અણકયુર્ં આવી પડ્યું માથે રે ।।૨૨।।

ફાંસીગરે ફાંસી નાખી કોટે રે, લીધો જમપુરે દડીદોટે રે ।।

શાહુકાર જાણી કર્યો સંગ રે, ખરો નીસર્યો દોંગાનો દંગ રે ।।૨૩।।

સમજયા વિના કર્યો સંગાથ રે, તેણે લૂંટાણો જાણો અનાથ રે ।।

કહ્યા જેવું તે કેને ન રહ્યું રે, એવું મંદભાગીને માથે થયું રે ।।૨૪।।

એમ ખબર વિના ખોટ્ય ખાધી રે, વણ વાંકે વળગી વરાધી રે ।।

મતિ હીણ તે મહાદુઃખ પામે રે, જે કોઈ ભ્રમી ચઢે ભૂર ભામે રે ।।૨૫।।

માટે મતિ પોતાની હોય થોડી રે, તો મળવું મોટાને માન મોડી રે ।।

પૂછી જોવી પંચને વારતા રે, મેલી મત પંથની મમતા રે ।।૨૬।।

સાચી વાત સાથે છે જો કામ રે, જેણે કરી જાય હરિધામ રે ।।

ખોટી વાતમાંહિ ખોટ્ય આવે રે, તે તો ભૂર વિના કેને ભાવે રે ।।૨૭।।

માટે સાચાને શોધવું સાચું રે, કલ્યાણમાં ન રાખવું કાચું રે ।।

સાચા સદ્ગુરુ સંતને સેવી રે, સર્વે વાતને સુધારી લેવી રે ।।૨૮।।

ફરી ફરી ન પડે ફરવું રે, એટલું તો અવશ્ય કરવું રે ।।

એ છે પોતાના હિતની વાત રે, સહુને સમજવું એ સાક્ષાત રે ।।૨૯।।

જેણે કરીને થાય જો જયાન રે, એવો સંગ ન કરવો નિદાન રે ।।

એમ કહ્યું મુકતે મુમુક્ષુને રે, હોય સંશય તો પૂછજયે મુને રે ।।૩૦।।

ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુકતમુમુક્ષુ સંવાદે એકાદશો નિર્ણયઃ ।।૧૧।।