દોહા :- મુમુક્ષુ તું મને માનજયે, પૂરણ આણી પ્રતીત ।।
હરિ હરિજન મળ્યા વિના, નો’ય કલ્યાણ કહું કોઈ રીત ।। ૧ ।।
અવિચળ અવશ્ય એ વાત ખરી, કરી પુરાણમાં પ્રમાણ ।।
તેહ વિના ત્રણ લોકમાં, જુવો ઝાંખી જો જડે કલ્યાણ ।। ૨ ।।
કંઈક તર્યા કંઈક તરશે, કંઈક તરે છે વળી આજ ।।
તે સહુનું તું સમજજયે, તર્યા મળ્યા જેને મહારાજ ।। ૩ ।।
આત્યંતિક કલ્યાણ કારણે, જાવું પ્રગટ પ્રભુને પાસ ।।
મોક્ષદાયક એહ મૂરતિ, કે મોક્ષદાતા એના દાસ ।। ૪ ।।
ચોપાઈ :-
તેહ વિના ત્રિલોકને માંઈ રે, નથી કલ્યાણ થાવાનું કયાંઈ રે ।।
બ્રહ્મલોક લગી જુવો ભાળી રે, શિવલોકને જુવો સંભાળી રે ।। ૫ ।।
જોતાં કલ્યાણ કયાંયે ન મળે રે, એવું સુણ્યું પુરાણ સઘળે રે ।।
યક્ષ રાક્ષસ ને રુદ્રગણ રે, તેમાં પામ્યા છે કલ્યાણ કુણ રે ।। ૬ ।।
અજ ઈશથી શ્રેય ન થાય રે, ત્યારે બીજાથી કેમ કે’વાય રે ।।
મર પૂજો યજો ભજો સાચું રે, પણ કલ્યાણ થાવાનું કાચું રે ।। ૭ ।।
એવાથી પણ અર્થ ન સરે રે, તઇયે બીજા શ્રેય કોણ કરે રે ।।
શશી સૂરજ ને વળી શેષ રે, સુર સુરપતિ ને ગણેશ રે ।। ૮ ।।
એહ મોટા દેવ જગે જાણ રે, પણ કરી ન શકે કલ્યાણ રે ।।
ત્યારે અન્ય દેવને ઉપાસે રે, કહો કલ્યાણ તે કેમ થાશે રે ।। ૯ ।।
માટે કલ્યાણકારી સાંભળ્યા રે, એક હરિ કે હરિના મળ્યા રે ।।
સાચી વાત તું માનજે સહિ રે, એહ બેઉ વિના મોક્ષ નહિ રે ।।૧૦।।
જે જે કરે છે કલ્યાણ સારુ રે, પણ એ વિના કામ ઉધારુ રે ।।
શુદ્ધ મને જો પરોક્ષ સેવશે રે, તેનું કોઈ કાળે ફળ લેશે રે ।।૧૧।।
તે પણ જયારે પ્રગટ હશે હરિ રે, એની ભકત માનશે સાચી કરી રે ।।
તે દી પામશે પદ નિર્વાણ રે, એ પણ સમજી લેજયે સુજાણ રે ।।૧૨।।
પણ વિના પ્રભુને સંબંધ રે, નહિ કલ્યાણ આદ્ય અંત્ય મધ્ય રે ।।
મોટા દેવથી મુકત ન થાય રે, ત્યારે મનુષ્યથી કેમ કે’વાય રે ।।૧૩।।
જેને અજ્ઞાને લીધા છે આવરી રે, મેલ્યા પંચ વિષયે વશ કરી રે ।।
કામ ક્રોધ ને લોભના ભર્યા રે, એથી કહો કોણ જન તર્યા રે ।।૧૪।।
પિંડ પોષવા સારુ પ્રપંચ રે, સજજ કરી રાખ્યા સર્વે સંચ રે ।।
જેણે કરી આ જીવ ઝલાય રે, એવા શીખી લીધા છે ઉપાય રે ।।૧૫।।
ભણ્યા શાસ્ત્ર એ સારવા અર્થ રે, ઘણું ડાહ્યા લેવા ગૌરી ગર્થ રે ।।
એને પામવા પ્રપંચતણા રે, બાંધ્યા મત પંથ જગે ઘણા રે ।।૧૬।।
એને પણ ઓળખી લેવા રે, હોય કૈક ભજયા તજયા જેવા રે ।।
નોય સર્વે કલ્યાણકારી રે, વાત એ પણ જોવી વિચારી રેે ।।૧૭।।
માટે મત પંથમાંહિ મળી રે, રખે જાતા જિયાં તિયાં ભળી રે ।।
નથી કોઈ કલ્યાણ કરનાર રે, પ્રભુ પ્રગટ વિના નિરધાર રે ।।૧૮।।
દેવસેવામાં પણ રહ્યો સંશે રે, ત્યારે બીજે કલ્યાણ કેમ હશે રે ।।
જોગી જંગમ શેખ સંન્યાસી રે, દત્ત દિગંબર વનવાસી રે ।।૧૯।।
જટા શ્વેતપટા વાળકટા રે, કંથર ભર્થર ને કાનફટા રે ।।
જંદા જૈન ટાટાંબર ખાખી રે, ભકત પંડિત કે’ મુખે ભાખી રે ।।૨૦।।
દશા વિશા વૈરાગી ઉદાસી રે, ગોરખ ગોદડ શ્રવણ ઉપાસી રે ।।
દાદુ કબીર ગુરુ ગોસાંઈ રે, દંડી મુંડી ને સૂથરા સાંઈ રે ।।૨૧।।
કુંડ ઢુંઢ ને ઊંડા અઘોરી રે, શૂન્યવાદી વેદાંતિ મુસોરી રે ।।
એહ વિના બીજા બહુ ગુરુ રે, તેમાં માન્યું છે કલ્યાણ ખરું રે ।।૨૨।।
તેને કોણ કરે આજ ખોટા રે, પણ દેવથી એ નહિ મોટા રે ।।
કોણ સમજે આ વાતનો મર્મ રે, સૌએ સત્ય માન્યો નિજધર્મ રે ।।૨૩।।
લૂંટી આંધળે બેરે બજાર રે, તેનો કોયે ન કર્યો વિચાર રે ।।
જોજયો પ્રભુઘેરે તમ મોટું રે, થયા કલ્યાણકારી ગુરુ કોટું રે ।।૨૪।।
એહ ગુરુ ને ગુરુના શિષ્ય રે, તેહ ઉપર કરે હરિ રીસ રે ।।
કહે જુવો અજ્ઞાની જન રે, સહી વાત સમજયા છે મન રે ।।૨૫।।
જેને નથી ખબર કોય ખરી રે, થયા ગુરુ વરુ કહે હરિ રે ।।
વાત સર્વે માનજયો સાચી રે, માટે રખે રે’તા એમાં રાચી રે ।।૨૬।।
જે જે કે’વાનું હતું તે કહ્યું રે, નથી કેડ્યે કે’વા કાંઈ રહ્યું રે ।।
સત્ય માની મુમુક્ષુ મને રે, સુણી જાળવી રાખે જતને રે ।।૨૭।।
ભવમાં છે ભુલવણી ભારે રે, માટે કહ્યું તુંને વારેવારે રે ।।
જે જે પૂછ્યા હતા તેં પ્રશ્ન રે, તે તે કહ્યા મેં જિજ્ઞાસુ જન રે ।।૨૮।।
જે કોઈ સાંભળી સમજશે સમું રે, તેને ટળશે વિકટ વસમું રે ।।
કહ્યું જે જે પૂછ્યું તે તે કથી રે, જે મેં કહ્યું તેમાં જૂઠું નથી રે ।।૨૯।।
સાચી વાત છે શાસ્ત્ર પુરાણે રે, સમજી લખ્યું છે સંત શિયાણે રે ।।
સુણી અનઘ પામશે આનંદ રે, નિશ્ચે કે’એમ નિષ્કુળાનંદ રે ।।૩૦।।
ઇતિ શ્રી કલ્યાણનિર્ણયમધ્યે મુકતમુમુક્ષુ સંવાદે ષોડશો નિર્ણયઃ ।।૧૬।।