રાગ-ધોળ ‘સખી સાંભળ્યને કહું વાત, આજ મારાં ભાગ્ય ભલાં’

કહે તો વળી કહું એક વાત, સુણજયો સહુ મળી ।।

છે જો સાંભળ્યા જેવી સાક્ષાત, વાલપે કહું વળી ।। ૧ ।।

જેમ  નરદેવ   દઈને  દંડ, વેરીને વશ્ય  કરે ।।

લિયે ખાટી  તે સર્વે ખંડ,  દુષ્ટ તે સરવે ડરે ।। ૨ ।।

તેમ  પ્રગટી  પૂરણ  બ્રહ્મ, સંતના શત્રુ  હણ્યા ।।

કામ ક્રોધ લોભ જે વિષમ, તે તૃણ તુલ્ય ગણ્યા ।। ૩ ।।

સ્વાદ સ્નેહ મમતા માન, પાપી પારોઠા  કીધા ।।

કહે નિષ્કુળાનંદ નિદાન, નિજ જન તારી લીધા ।। ૪ ।।