રાગ-ધોળ ‘મેં તો દીઠા જાદવરાય જમુનાં ઝીલતા રે’
જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે ।।
જેની જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે ।। ૧ ।।
એવા જનનું જાણો જરૂર, નથી મુખ જોયા જેવું રે ।।
દોષે ભર્યું જાણી તજો દૂર, અઘે અવરાણું એવું રે ।। ૨ ।।
તેને પાસે વસતાં વાસ, લાંછન તો લાગે જ લાગે રે ।।
તજો તેને આણી તન ત્રાસ, જેથી કુબુદ્ધિ જાગે રે ।। ૩ ।।
એવા પાપીનું સ્પર્શતા અંગ, પુણ્ય જાય પોતા તણું રે ।।
કહે નિષ્કુળાનંદ એ કુસંગ, તે સંગે જયાન ઘણું રે ।। ૪ ।।