રાગ-ધોળ ‘મેં તો દીઠા જાદવરાય જમુનાં ઝીલતા રે’

જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે ।।

જેની જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે ।। ૧ ।।

એવા જનનું જાણો જરૂર, નથી મુખ જોયા જેવું રે ।।

દોષે ભર્યું જાણી તજો દૂર, અઘે  અવરાણું  એવું રે ।। ૨ ।।

તેને પાસે વસતાં વાસ, લાંછન  તો લાગે જ લાગે રે ।।

તજો તેને આણી તન ત્રાસ, જેથી  કુબુદ્ધિ જાગે રે ।। ૩ ।।

એવા પાપીનું સ્પર્શતા અંગ, પુણ્ય જાય પોતા તણું રે ।।

કહે નિષ્કુળાનંદ એ કુસંગ, તે સંગે જયાન ઘણું રે ।। ૪ ।।