જેમ મહાજળમાં મગર, સાગર સહુને રાખે રે ।।
નાનાં મોટાં કરી રહે ઘર, કોયને ન કાઢી નાખે રે ।। ૧ ।।
પણ જયાં લગી જીવ હોય , ત્યાં લગી તેમાં રહે રે ।।
વણ જીવે રહે નહિ કોય, લે’ર દૂર નાખી દહે રે ।। ૨ ।।
હરિજનનું જીવન છે ધર્મ, પોતે પોતાનો પાળે રે ।।
તજે નહિ ભજે પરબ્રહ્મ, તો રહે તેમાં સદા કાળે રે ।। ૩ ।।
વણ જીવે હોય નહિ વાસ, સત્સંગ સિંધુમાંઈ રે ।।
કરવો નિષ્કુળાનંદ તપાસ, કહ્યું નથી કૂડું કાંઈ રે ।। ૪ ।।