એમ પ્રસન્ન કર્યા પરબ્રહ્મજી, સહી શરીરે બહુ પરિશ્રમજી

એહ વાત સાંભળી લેવો મર્મજી, વાત છે કઠણ નથી કાંઈ નર્મજી

નર્મ નથી છે કઠણ ઘણી, જેવા તેવાથી થાતી નથી ।।

સહુ સહુના મનમાં જુવો, ઊંડું વિચારી અંતરથી ।। ૨ ।।

વણ ખપવાળાને એ વારતા, અણુ એક અર્થે આવે નહિ ।।

મહિમા માહાત્મ્ય મોટપ્ય મુખથી, કહિયે મર કથી કથી કહિ ।। ૩ ।।

જેમ પશુજનને ચાર્ય પ્યારી, તેહ નીલી દેખીને નવ તજે ।।

સહે કષ્ટ બહુ એહ સારુ, તોય ભાવે કરી એહને ભજે ।। ૪ ।।

જોને મોટી આશા છે મનમાં, જેવી પામવાને પૈસાતણી ।।

તેવી આશા નથી અવિનાશ પદની, વાત શું કહિયે ઘણી ઘણી ।। ૫ ।।

અન્ન વસન સારુ અંગ આપે, જિયાં કાપે શત્રુ વળી શીશ ।।

એ તો થાય છે ઉછરંગશું, પણ ભજાય નહિ જગદીશ ।। ૬ ।।

અસત્ય સુખ સારુ એવું કરે, પિંડ પાડ્યા સુધી પ્રયાણ ।।

સત્ય સુખને સાંભળી, વળી થાતી નથી એવી તાણ ।। ૭ ।।

વિષનો કીડો વિષમાં, વસી વખાણે વિષનું સુખ ।।

તેને રે’તા અમૃતમાં, થાય જરૂર જાણજો દુઃખ ।। ૮ ।।

તેમ ભકત આ બ્રહ્માંડમાં, ભજે હરિ ન તજે વિકાર ।।

જેમ કેશ કહિયે કઠેકાણા તણા, શ્વેત શ્યામ સહુ એક હાર ।।૯।।

ભકત થાય ભગવાનના, પ્રથમના ભકત પ્રમાણ ।।

નિષ્કુળાનંદ કહે તે વિના, બીજા માનો માયાના વેચાણ ।।૧૦।।