આપ્યું કાપી તન સત્યવંત શિબિરાજજી, તે તો પરલોકના સુખને કાજજી
એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી
ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જયારે રહે એ રાજાની રીત ।।
ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઈએ પ્રીત ।। ૨ ।।
અંગથી અળગું અવનિએ, વળી જે જે જણસો હોય ।।
તે તે આપે ત્રિલોકમાં, સુખે થકી સહુ કોય ।। ૩ ।।
પણ જયારે આવે અંગ ઉપરે, સુખ દુઃખના સમૂહ મળી ।।
ત્યારે દઢ ધીરજ રહે, સંત કહિયે તેને વળી ।। ૪ ।।
મોટી વાત કરતાં મુખથી, વળી સ્વાદ આવે છે સહુને ।।
પણ જયારે જોઈએ આ જીવમાં, ત્યારે ભળાયે ભૂલ્ય બહુને ।। ૫ ।।
એહ ભૂલ્યને અળગી કરી, ખરી હરિની ભકત કરિયે ।।
મોટા ભકત જે મોરે થયા, તેના મતને અનુસરિયે ।। ૬ ।।
મનગમતું મેલી કરીને, મત મોટાનો મન ધારિયે ।।
પ્રસન્ન કરવા છે પ્રાણપતિને, એટલું તો જરૂર વિચારિયે ।। ૭ ।।
અંતરજામીની આગળે, નહિ ચાલે જૂઠ જરાય ।।
એમ વિચારી આપણે, કસર ન રાખવી કાંય ।। ૮ ।।
એહ વાત અનુપ છે, નક્કી સુખ થાવાની નિદાન ।।
વણ સમઝે વિપત પડે, રણ તૃણાર્થી સંગ શ્વાન ।।૯।।
માટે મોટા સંતને મળી, વળી ટાળવી સરવે ભૂલ્ય ।।
નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ, અવસર આવ્યો અમૂલ્ય ।।૧૦।।