(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ.
શીદને રહિયે કંગાલ રે સંતો જયારે મળ્યો મોટો મહા માલ રે સંતો
પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ;
અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે સંતો ।। ૧ ।।
રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ;
ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે સંતો ।। ૨ ।।
તેમ ભકત ભગવાનના થઈને, રહે વિષયમાં બેહાલ;
તે તો પામર નર જાણો પૂરા, હરિભકતની ધરી છે ઢાલ રે સંતો ।। ૩ ।।
તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમઝી એ સાલ
નિષ્કુળાનંદ એ ભકત હરિના, બીજા બજારી બકાલ રે સંતો ; ।। ૪ ।।