વન વિષમ અતિશય વિકટજી, જયાં જયાં જાય ત્યાં પામે સંકટજી

રાત દિવસ રહે દુઃખ અમટજી, ઝાડ પા’ડ પૃથ્વી અતિ દુરઘટજી

દુરઘટ દેખી અટવી એહ, ચળી જાય મનુષ્યનાં ચિત્ત ।।

તેમાં રાજા રાણી રડવડે, પડે દુઃખ ત્યાં અગણિત ।। ૨ ।।

ઘણા ગોખરું કાંટા ફ્રંગટા, કૌચ કંદ્રુ કરણાં નીર ।।

આવી સ્પર્શે એ અંગમાં, તેણે સૂજી જાય છે શરીર ।। ૩ ।।

પશુ પંખી પરસ્પર, કરે શબ્દ ભૂંડા ભયંકાર ।।

સહ્યા ન જાય તે શ્રવણે, એવા થાય વનમાં ઉચ્ચાર ।। ૪ ।।

નિશામાંહી નિશાચર ફરે, હરે પશુ પંખીના પ્રાણ ।।

એવા વનમાં દંપતી અતિ, નિઃશંક ફરે નિરવાણ ।। ૫ ।।

ખાન પાન ખોળે નવ મળે, મળે હિંસક જન હમેશ ।।

તોય સંભારે નહિ સુખ રાજયનું, હૈયામાંહી લવલેશ ।। ૬ ।।

જેમ જેમ પડે વિપત્તિ વળી, તેમ તેમ મને મગન ।।

એમ વનમાંય વિચરે, રાત દિન રાણી ને રાજન ।। ૭ ।।

એવા વનમાં ઋષિ રહે, જેને અન્નનો નહિ આહાર ।।

જોઈ રાજા એવા ઋષિને, ત્યાંથી ચાલી નીસરે તે વાર ।। ૮ ।।

એમ દિન કંઈ વહી ગયા, પછી રાજાએ કર્યો વિચાર ।।

રાણી ખાણી સર્વે દુઃખની, માટે તજી દઉં નિરધાર ।।૯।।

પછી અધુર્ં અંબર લઈ અર્ધ રાતે, ચાલી નીસર્યા નળ વળી નરેશ ।।

નિષ્કુળાનંદ કહે દમયંતી, પામી પૂરણ કલેશ ।।૧૦।।