(રાગ:-બિહાગડો) સરલ વરતવે છે સારું રે મનવાએ ઢાળ.

કરિયે રાજી ઘનશ્યામ રે, સંતો તો સરે સરવે કામ રે સંતો..ટેક

મરજી જોઈ મહારાજના મનની, એમ રહિયે આઠું જામ;

જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે સંતો ।। ૧ ।।

તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહિયે હૈયે કરી હામ;

અચળ અડગ રહિયે એક મને, તો પામિયે સુખ વિશ્રામ રે સંતો ।। ૨ ।।

જુવો રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ;

જનમ થકી માનો મુવા સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે સંતો ।। ૩ ।।

એ તો દોયલું સોયલું છે આજ, તજિયે દોય દામ વામ;

નિષ્કુળાનંદ નિઃશંક થઈને, પામિયે હરિનું ધામ રે સંતો ।। ૪ ।।