(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ.
કરિયે રાજી ઘનશ્યામ રે, સંતો તો સરે સરવે કામ રે સંતો..ટેક
મરજી જોઈ મહારાજના મનની, એમ રહિયે આઠું જામ;
જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે સંતો ।। ૧ ।।
તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહિયે હૈયે કરી હામ;
અચળ અડગ રહિયે એક મને, તો પામિયે સુખ વિશ્રામ રે સંતો ।। ૨ ।।
જુવો રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ;
જનમ થકી માનો મુવા સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે સંતો ।। ૩ ।।
એ તો દોયલું સોયલું છે આજ, તજિયે દોય દામ વામ;
નિષ્કુળાનંદ નિઃશંક થઈને, પામિયે હરિનું ધામ રે સંતો ।। ૪ ।।